વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, ઉચ્ચ અધિકારીઓ અને અન્ય હિસ્સેદારોએ હાજરી આપી. આ બેઠકમાં વન્યજીવન સંરક્ષણ સંબંધિત પહેલ અને પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાનએ આ પ્રયાસોને વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.
બેઠક દરમિયાન, પીએમ મોદીએ જૂનાગઢમાં વન્યજીવન રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનો શિલાન્યાસ કર્યો અને 16મી એશિયાટિક સિંહ ગણતરી 2025 પહેલનો પ્રારંભ કર્યો. તેમણે માનવ-વન્યજીવન સંઘર્ષનું સંચાલન કરવા માટે કોઈમ્બતુરમાં શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પણ જાહેરાત કરી. વધુમાં, વડાપ્રધાનએ ભારતમાં ડોલ્ફિનની વસ્તીની વિગતો આપતો એક અહેવાલ બહાર પાડ્યો, જે વન્યજીવન સંરક્ષણ અને સંરક્ષણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.દિવસની શરૂઆતમાં, વડાપ્રધાન મોદી ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ સફારી પર ગયા હતા.
વન વિભાગના PCCF એ.પી.સિંઘનું નિવેદન
PMની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકમાં સાસણ ગીરમાં લાયન પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે. વન વિભાગના PCCF એ.પી.સિંઘએ જણાવ્યું હતું કે, PMએ તમામ પ્રોજેક્ટને લઈને માહિતી લીધી છે. ડોલ્ફિન પ્રોજેક્ટ, એલિફન્ટ પ્રોજેક્ટની વાત થઈ છે. લાયન પ્રોજેક્ટને લઈને પણ વાતચીત કરવામાં આવી છે. દેશની અગત્યની પ્રજાતિઓ માટે ચર્ચાઓ થઈ છે. લાયન પ્રોજેક્ટમાં જનભાગીદારી ખૂબ જરૂરી છે.
સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી : PM મોદી
જુનાગઢ-નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફની બેઠકમાં પ્રધાનમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી છે. સિંહોની સંખ્યાની સાથે તેનો વિસ્તાર પણ વધ્યો છે. હાલમાં ગીરમાં 674 સિહં છે. પહેલા માત્ર ત્રણ જિલ્લામાં 15 હજાર સ્ક્વેર કિલોમીટર એરિયા હતો. જે આજે વધીને હાલમાં 9 જિલ્લાઓમાં 30 હજાર કિલોમીટર વિસ્તાર થયો છે. સિંહોની સંખ્યા અને વિસ્તાર વધતા તેના સંવર્ધન માટે લોકભાગીદારી પર PM નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન સફારી વાહનમાં ઉભા રહીને ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળ્યા
વડાપ્રધાન સફારી વાહનમાં ઉભા રહીને ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળ્યા હતા, જે દરમિયાન તેમણે સિંહોના પરિવારોને જોયા હતા. પીએમ મોદી હાલમાં ગુજરાતની મુલાકાતે છે. સાસણ ગીર એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે અને અહીં સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. 2020માં થયેલી વસ્તી ગણતરી મુજબ, ગીર જંગલ વિસ્તારમાં સિંહોની કુલ વસ્તી 674 છે.