દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું હવે રાજકોટ જિલ્લામાં પણ આવા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે લોધિકાના માખાવડમાં દબાણો હટાવાની કાર્યવાહી કરાઇ હતી અને 21 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત 100 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
રાજકોટ નજીક આવેલ માખાવડ ગામમાં ભૂ માફિયાઓ દ્વારા સરકાર દ્વારા જીઆઇડીસીને ફાળવેલી જમીન પર ખેતી વિષય તેમજ પ્લોટ વિષયક દબાણો કરી દેવામાં આવ્યા હતા. તંત્રને ધ્યાનમાં આવતા નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા તંત્રની ટીમ થોડા દિવસ પહેલા દબાણ દૂર કરવા માટે ગઈ હતી. પરંતુ તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમના કારણે મામલતદાર સહિતની ટીમો દ્વારા દબાણ દૂર કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. બાદમાં કલેકટર પ્રભાવ જોશી અને ગ્રામ્ય પ્રાંત વિમલ ચક્રવર્તીની સૂચનાથી આજે વહેલી સવારે તંત્રનો બુલડોઝર ફરી વળ્યું હતું.













