રાજકોટના જસદણ તાલુકાના કાનપુર ગામે ખેડૂતોએ સમયસર વીજળી નહીં મળતા વિરોધ શરૂ કર્યો છે. 150થી વધુ ખેડૂતો ખેતરમાં એકઠા થયા હતાં અને દિવાના અજવાળે ઉર્જામંત્રીને પત્ર લખ્યો હતો. ખેડૂતોએ પત્રમાં કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી સમયસર વીજળી મળી નથી. વીજળી નહીં મળે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આવતીકાલે ખેડૂતો PGVCL ખાતે આવેદન પત્ર આપશે.


સમયસર વીજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટના જસદણ તાલુકાના કાનપુર ગામના ખેડૂતોને સમયસર વીજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રે ખેતરમાં જતાં તેમને ભય સતાવી રહ્યો છે. ખેતરમાં પાણી વાળાવા માટે સમયસર વીજળી નહીં મળતાં તેમણે કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીને અંધારામાં દીવા કરી પત્ર લખ્યો છે. ખેતરમા રાતના સમયે 150થી વધારે ખેડૂતો ભેગા થયા હતાં અને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. જસદણ તાલુકાના ખાનપુરમાં અંદાજિત 2500 વીઘામાં મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કર્યું છે.

ઉપવાસ પર બેસવાની પણ ખેડૂતોએ ચીમકી ઉતારી

છેલ્લા બે મહિનાથી ખેડૂતોને સમયસર વીજળી નહીં મળતા ખેડૂતોના પાકોને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. આવતીકાલે આટકોટ પીજીવીસીએલ ખાતે 250થી પણ વધારે ખેડૂતો આવેદનપત્ર આપશે.ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ ખાતર લઈ વાવેતર કર્યું છે. જો સમયસર વીજળી નહીં મળે તો મોટા પાયે ખેડૂતોને નુકસાન થશે. સમયસર વીજળી નહીં મળે તો ઉપવાસ પર બેસવાની પણ ખેડૂતોએ ચીમકી ઉતારી છે.

  • Follow us on: