• સચિન GIDC વિસ્તારમાં મહિલા વ્યાજખોરનો આંતક

  • 30 હજારની સામે 70 હજાર ચૂકવ્યા છતા સતત કરવામાં આવતી હતી પૈસાની ઉઘરાણી
  • પોલીસે વ્યાજખોર મહિલા રેખા પ્રસાદની કરી ધરપકડ

સુરતમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના સચિન GIDC વિસ્તારમાં મહિલા વ્યાજખોરનો આંતક જોવા મળી રહ્યો છે. રૂપિયા 30 હજારની સામે 70 હજાર ચૂકવ્યા બાદ પણ મહિલા દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. મહિલા દ્વારા વધુ 1.10 લાખ રૂપિયા વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

પઠાણી ઉઘરાણીથી કંટાળીને સુરત પોલીસમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

ત્યારે ફરિયાદીએ આખરે મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને સુરત પોલીસમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરીને વ્યાજખોર મહિલા રેખા પ્રસાદની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં વ્યાજખોરોનો આતંક વધી ગયો છે. વ્યાજખોરો થોડાક રૂપિયા આપીને પછી તેની પર વ્યાજનું વ્યાજ ચઢાવીને પઠાણી ઉઘરાણી કરતા હોય છે, જેના કારણે ભૂતકાળમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

થોડા દિવસ પહેલા વ્યાજખોરે બિલ્ડર પાસે 6 લાખની સામે 36 લાખ પડાવ્યા

થોડા દિવસ પહેલા જ બિલ્ડર પાસે રૂપિયા 6 લાખની સામે રૂપિયા 36 લાખ પડાવ્યા બાદ પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનનારા બિલ્ડરે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર વિજય માછીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી કે અત્યાર સુધી આ વ્યાજખોરે કોને કોને પોતાના શિકાર બનાવ્યા છે.

ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ

તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ યથાવત છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે 7 જૂન સુધીમાં કુલ 226 વિરુદ્ધ 134 ગુના દાખલ કરાયા છે. 21 જૂનથી અત્યાર સુધીમાં 568 લોક દરબાર કર્યા છે. લોક દરબારમાં 32692 વ્યક્તિઓ હાજર રહ્યા છે. નાણાં ઉછીના લેવા છે તો કેન્દ્રની યોજનાઓ છે. લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરાય છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી સરકારની સુચનાને લઈને પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ છે.


  • Follow us on: