સુરેન્દ્રનગરના લખતર વઢવાણ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જમર દેદાદરા વચ્ચે મંદિર પાસે ટ્રકે ડમ્પર ચાલકને પાછળથી ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો અને ડમ્પરચાલકનું મોત થયું હતું.
પૂરગતિએ આવતી ટ્રકે ડમ્પરચાલકને લીધો અડફેટે
ગાંગડા મેલડી માતાના મંદિર પાસે ડમ્પર ચાલક પાણી પીવા ઉતર્યો હતો અને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તમને જણાવી દઈએ હાઈવે પર અવારનવાર ડમ્પર ચાલકો દ્વારા અને ટ્રક દ્વારા અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.
વઢવાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
સદાદ ગામના 55 વર્ષીય જગદીશભાઈ અમરતભાઈ બારોટનું અકસ્માતમાં મોત થતાં પરિવાર પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ વઢવાણ પોલીસને કરવામાં આવતા વઢવાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વઢવાણ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અમરેલી ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
થોડા દિવસ પહેલા જ અમરેલીના ખાંભાથી ઉના રોડ પર બોરાળા ગામે ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ખાંભાથી ઉના તરફ જઈ રહેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા મકાનની દિવાલને ધરાશાયી કરી હતી અને અકસ્માત થતાં સ્થાનિક લોકો એકઠા થયા હતા. ખાંભાથી ઉના રોડ પર બોરાળા ગામે વહેલી સવારે ઘટના બની હતી. બોરાળા ગામે ટ્રકનો અકસ્માત થયા બાદ ટ્રક પલટી મારી ગઈ હતી.
22 ઓક્ટોબરે નડિયાદમાં એસટી બસનો અકસ્માત સર્જાયો હતો
તમને જણાવી દઈએ કે 22 ઓક્ટોબરે નડિયાદમાં એસટી બસનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની હતી. હાર્ટ હોસ્પિટલ પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો હતો અને બસ ચાલકની તબિયત લથડતા અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. ત્યારે હોસ્પિટલ બહાર રહેલી લારી અને ગલ્લાંને અડફેટે લીધા હતા. આ બસ નડીયાદથી અલીન્દ્રા જતી હતી. જો કે બસમાં સવાર 35 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.













