સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડીમાં ગેસ ગળતરનાં કારણે બે કામદારોનાં મૃત્યુ પર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ સ્વત: સંજ્ઞાન લીધું છે અને ગુજરાતનાં મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારીને બે સપ્તાહની અંદર સંપૂર્ણ માહિતી સાથેનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. સુરેન્દ્રનગરનાં પાટડીમાં નગરપાલિકાનાં ભુગર્ભ ગટરનાં કોન્ટ્રક્ટ પર કામ કરતા બે કર્મચારીનાં ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા.


સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસ પહેલા પાટડી નગરપાલિકાનાં ભુગર્ભ ગટરનાં કોન્ટ્રાક્ટ બેઈઝ બે કર્મચારીનાં ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. આ મામલે હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ સ્વત: સંજ્ઞાન લીધું છે. માહિતી અનુસાર, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે કાર્યવાહી કરી ગુજરાતનાં મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ સોંપવા કહ્યું છે. રિપોર્ટમાં કેસની તપાસની સ્થિતિ તેમ જ પીડિત પરિવારોને આપવામાં આવેલા વળતર (જો કોઈ હોય તો) અંગે માહિતી માંગવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

21 જાન્યુઆરી, 2025 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાટડી નગરપાલિકાનાં ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનમાં ફસાઈ ગયા બાદ બે કામદારોનાં શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયા હોવાના મીડિયા અહેવાલનું આયોગે સ્વત: સંજ્ઞાન લીધું છે. અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે કામદારો કોઈપણ સલામતી સાધનો વિના ગટર પમ્પિંગ સ્ટેશન સાફ કરવા માટે અંદર ગયા હતા. ભોગ બનેલા લોકો પાટડી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા. આયોગ અનુસાર, જો આ ઘટના સાચી હોય તો તે માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

  • Follow us on: