સુરતમાં વેપારી પરિવારોના ધરણાં સમેટાયા. છેલ્લા બે દિવસથી 12 વેપારી પરિવાર કે.પી. સંઘવી કંપની સામે ધરણા પર બેઠા હતા. વેપારી પરિવારોનો આક્ષેપ છે કે KP સંઘવી ડાયમંડ કંપની તેમને ખોટા કેસમાં ફસાવવા માગે છે. અને એટલે જ આ મામલે ન્યાય મળે માટે 12 વેપારી પરિવારો કંપની સામે જ ધરણાં પર બેઠા હતા. આખરે કંપની અને વેપારી પરિવાર વચ્ચે ચાલતા વિવાદમાં ચાર ધારાસભ્યો વચ્ચે પડયા અને કેસ પરત ખેંચવાનું આશ્વાસન આપતા ધરણાં સમેટ્યા.
ડાયમંડ કંપની અને વેપારી પરીવારો વચ્ચે વિવાદ
શહેરનો હીરા ઉદ્યોગ અત્યારે મહામંદીનો સામનો કરી રહ્યો છે. અનેક રત્નકલાકારો અને આગેવાન દ્વારા સરકારને સહાય કરવાની રજૂઆત કરી હતી. દરમિયાન કે પી સંઘવી ડાયમંડ કંપની અને વેપારીઓ વચ્ચે નાણાકીય વ્યવહારને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વેપારી પરીવારોનો આક્ષેપ છે કે તેમણે અગાઉ કે.પી.સંઘવીને ચુકવણું કર્યું હોવા છતાં તેમના ચેક રીર્ટન થયા હોવાને લઈને તેમના પર કંપની દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો. કે.પી.સંઘવી કંપની દ્વારા તેમના પર ચેક રીર્ટનના કેસ કરવામાં આવ્યા છે તે પરત લેવામાં આવે તેવી માગ સાથે વેપારી પરિવારો છેલ્લા બે દિવસથી ધરણા પર ઉતર્યા હતા.
વેપારીઓના સમર્થનમાં ધારાસભ્ય
ડાયમંડ કંપની સામે ધરણાં પર ઉતરેલા વેપારીઓના સમર્થનમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા. વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય પણ વેપારીઓના ધરણામાં જોડાયા હતા. કાનાણીએ કહ્યું કે વેપારી પરીવારો અત્યારે ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. હું માત્ર એમને સહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા માટે આવ્યો છું.
શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે કે.સી.સંઘવી અને 12 વેપારીઓ વચ્ચે નાણાકીય લેવડદેવડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ડાયમંડ કંપની કે.પી.સંઘવી અને વેપારીઓ દ્વારા દલાલ હસ્તક વેપાર કરવામાં આવતો હતો. પરંતુ 6 વર્ષ પહેલા કંપનીને મોટું નુકસાન થયું હતું. જેના બાદ ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક વખતે પંચ પણ બોલાવવામાં આવ્યું હતું. વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50 ટકા જેટલી ચૂકવણી કરે દેવાઈ હતી.
વેપારી પરીવારોએ કરી ચૂકવણી
વેપારી પરીવારના પરીજનોએ કહ્યું કે આ બેઠકમાં નક્કી કરાયા મુજબ અમારી પાસે જે રૂપિયા હતા તેનું અમે ચુકવણી કરી દીધી હતી. તેથી હવે રૂપિયાની લેતીદેતીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કંપનીને અમે સિક્યુરીટ માટેના ચેક આપ્યા હતા તે તેમણે બેંકમાં જમા કરી અમારા ઉપર ચેક રીટર્નનો કેસ કર્યો. કંપનીને ચૂકવણી કર્યા બાદ અમારી પાસે વધુ કોઈ મૂડી બચી નથી અમારો બીજો કોઈ આર્થિક સહારો નથી. ત્યારે કંપની અમારી ચેક રીટર્નના કેસ કરી ફરી રૂપિયાની માગ કરી રહી છે અને આ કેસ તેઓ પરત લે તે માટે તમામ 12 પરિવારો ધરણા પર બેઠા હતા.