આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ માધ્યમિક શાળા તા.લીંબડી ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંબોધન કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૩થી ‘પીએમ જનમન’અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
અનુસૂચિત જનજાતિઓ
‘પીએમ જન મન' અભિયાન અંતર્ગત આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. દેશમાં ૭૦૦થી પણ વધારે અનુસૂચિત જનજાતિઓના ૧૦.૪૫ કરોડ જેટલાં લોકો વસવાટ કરે છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ PVTGને ઘર આંગણે મળી રહે તે હેતુથી ‘પીએમ જન મન' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પાણીની સુવિધા અપાઈ
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહી છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. જેના પરિણામે આજે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે. આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદ્રઢ અમલીકરણથી પાણીની સમસ્યા હલ થઇ છે. નલ સે જલ મિશન હેઠળ આજે ઘરેઘરે નળ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.
આયુષ્યમાન ભારત કાર્ડ
આરોગ્ય ક્ષેત્રે સરકારે લીધેલા પગલાઓની વાત વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં સરકારે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટિઝન્સને 'આયુષ્માન ભારત' યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આમ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના ધ્યેયમંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી છે. વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
પ્રથમ તબક્કાની સહાય
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૨૮/૧૨/૨૦૨૩ થી તા.૧૫/૧૧/૨૦૨૪ સુધી ૧૦ ટીમો બનાવી ૬૯ કેમ્પો કરી જિલ્લામાં ૧૦૦% સેચ્યુરેશન થાય તે માટે દિવસ-રાત મહેનત કરી છે. જિલ્લામાં PVTG વિસ્તારના નાની કઠેચીમાં ૦૩, રાણાગઢમાં ૦૨, રળોલમાં ૦૧ અને પરાલીમાં ૦૧ એમ કુલ ૦૭ આંગણવાળી મંજૂર કરવામાં આવી છે. આજે રાણાગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂ.૭.૩૩ કરોડના કુલ ૨૨ કામોનું ખાતમુર્હુત અને રૂ.૫૫.૬૦ લાખના ૧૨ કામોનું લોકાર્પણ થયું હતું. આ ઉપરાંત ૨૧૦ લાભાર્થીઓને આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ તેમજ ૧૪૪૦ લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રથમ તબક્કાની સહાય આપવામાં આવી હતી.
અધિકારીઓ રહ્યાં હાજર
ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપુર્વક નિહાળ્યું હતું. જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ દ્વારા કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને પ્રાંત અધિકારી શ્રી કુલદીપ દેસાઈ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.જલંધરા, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલન રાવ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ/ કર્મચારીઓ, મહાનુભાવો, અગ્રણીઓ અને મોટી સંખ્યમાં આદિમબંધુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.













