ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ઉતરાયણ પર્વને મનાવવા લોકો દેશ-વિદેશથી પણ આવતા હોય છે,અમદાવાદના કોટ વિસ્તારની ઉતરાયણ હર હંમેશ માટે યાદગાર બની ગઈ છે અને અત્યારે પણ બહારના વિસ્તારોમાંથી લોકો ઉતરાયણ પર્વની ઉજવણી કરવા માટે કોટ વિસ્તારમાં મોંઘા ભાવના ધાબા બે દિવસ માટે ભાડે રાખતા હોય છે અને તેના માટે એડવાન્સમાં બુંકિગ પણ કરાવતા હોય છે.
રાયપુર વિસ્તારમાં સૌથી વધારે ભાવ ધાબાનો
ઉતરાયણ પર્વ એ સૌને ગમતું પર્વ છે અને આ પર્વમાં લોકો વહેલી સવારથી ધાબે જઈને પતંગ ચગાવતા હોય છે,પરંતુ અમદાવાદના કોટ વિસ્તારની ઉતરાયણ સૌ કોઈ માટે મહત્વની હોય છે કેમકે પોળોમાં ધાબા અને ઘર એક બીજા સાથે કનેકટેડ હોય છે જેના કારણે વહેલી સવારથી મોડી સાંજ સુધી તમને પતંગ ચગાવતા રસિયાઓ જોવા મળે છે,અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધારે રાયપુરમાં જે લોકોના મકાનો પોળમાં આવેલા છે અને જે લોકો બહાર રહેતા હોય છે તે લોકો ભાડે ધાબા રાખતા હોય છે અને બે દિવસના ભાડા ચૂકવતા હોય છે.

કોટ વિસ્તારમાં ભાવ બે દિવસના 10 થી 15 હજાર રૂપિયા
અમદાવાદના કોટ વિસ્તારમાં રાયપુર, ઢાળની પોળ,રાયપુર ચકલાની પોળો સહિતની પોળોમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે આવતા હોય છે.ત્યારે બે દિવસનું ભાડુ રૂપિયા 10 થી 15 હજાર સુધી ચૂકવતા હોય છે ત્યારે પહેલા તમારે એડવાન્સમાં ભાડુ આપવાનું રહે છે અને ત્યારબાદ મકાન માલિક તમને ચાવી આપતા હોય છે ત્યારે બે દિવસના ભાડામા તમારે તે ઘરમાં રાત્રી રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો.

બે દિવસ અલગ-અલગ પેકેજ પણ હોય છે ઉપલબ્ધમાં
ઉતરાયણમાં પતંગ ચગાવવાની સાથે ખાવાની પણ મોજ ગુજરાતીઓ માણતા હોય છે એટલે તેના માટે પણ ખાસ અલગથી પેકેજ રાખવામાં આવતું હોય છે જેમાં તમને સવારનો નાસ્તો,બપોરનું જમવાનું,હાઈ ટી અને સાંજનું જમવાનું આપવામાં આવતું હોય છે એટલે કે વ્યકિતદીઠ તેમાં 500 રૂપિયા ગણવામાં આવતા હોય છે.અમદાવાદના જમાલપુરમાં ઉત્તરાયણ પહેલા અનોખો વિશાળકાય પતંગ પણ તૈયાર કરવામાં આવતો હોય છે.
ઘર ભાડે આપવાથી બે દિવસ માટે રોજગારીનું સર્જન થાય છે
ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે. જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેમાં પણ ફુલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ધાબા ભાડે આપવાનું ચલણ વધુ હોવાથી બોર્ડમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે.