• વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ રજૂઆત કરવા હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા વાલીઓ

  • વાલીઓની રજૂઆતને લઈ હાઈસ્કૂલ સંચાલકો તેમજ વાલીઓ વચ્ચે શાબ્દિક બોલા ચાલી
  • પ્રશ્નો ટૂંક સમયમાં હલ થઈ જશે તેવી હૈયા ધારણા સંચાલકે આપી

વડોદરાના વાઘોડિયાની ડો. એન.જી.શાહ સાર્વજનિક હાઈસ્કૂલના સંચાલકો સામે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ રજૂઆત કરવા હાઈસ્કૂલ ખાતે વાલીઓ પહોંચ્યા હતા. જેમાં હાઈસ્કૂલમાં પીવાનું પાણી ચોખ્ખું આવતુ નથી. સ્કૂલના શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ છે, હાઈસ્કૂલમાં આવવા જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે, તેમજ વાહનોના પાર્કિંગને લઈને વાલીઓએ સંચાલકો સામે રજૂઆત કરી છે.

ત્યારે વાલીઓની રજૂઆતને લઈ હાઈસ્કૂલ સંચાલકો તેમજ વાલીઓ વચ્ચે શાબ્દિક બોલા ચાલી થઈ હતી અને શાળાના સંચાલક તમારા બાળકોને ભણાવવા હોય તો ભણાવો, બાકી મને કોઈ ટેન્શન નથી આવા શબ્દો વાલીઓ સામે બોલતા હતા, ત્યારબાદ વાલીઓ થોડા સમય માટે પોતાના સંતાનોના ભાવી માટે વિચારમાં પડી ગયા હતા અને તે પછી વાલીઓએ હાઈસ્કૂલ સંચાલકો સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વાલીઓએ કરી રજૂઆત

વાઘોડિયાની ડો.એન.જી.શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વાલી મીટિંગમાં વાલીઓએ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો હતો અને આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેટલીક સમસ્યાને લઈને વાલી મીટીંગમાં સંચાલકો સામે રજૂઆતો કરી હતી, જેમાં બે ત્રણ દિવસ પહેલા બાલમંદિરના વિદ્યાર્થીઓ કાદવ કીચડમાં પસાર થઈ રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વીડિયોને લઈને વાલીઓ સંચાલકો સામે રજૂઆતો કરવા પહોંચ્યા હતા.તમને જણાવી દઈએ કે વાઘોડિયામાં ડો.એન.જી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ વિનય મંદિર પ્રાથમિક શાળા તેમજ શ્રીમતી મનીબેન એમ.પી.શાહ બાલમંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

સ્કુલ સંચાલકે આપી હૈયા ધારણા

ત્યારે સ્કુલ સંચાલકોએ વાલી મીટિંગમાં તમામ વાલીઓની રજૂઆત સાંભળી અને સંચાલકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તમામ સમસ્યા હલ થઈ જશે. શાળાએ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓના વાહનોને શાળાના ગેટની અંદર પાર્કિંગ કરવા માટે મંજુરી આપેલી છે અને બીજા બાકીના પ્રશ્નો ટૂંક સમયમાં હલ થઈ જશે તેવી હૈયા ધારણા વાલીઓને સંચાલક રાકેશ કાશી વાળાએ આપી હતી.

  • Follow us on: