વિજાપુરમાં આજે સવારે કરંટ લાગવાથી એક વિદ્યાર્થીના મોતની ઘટના બની હતી. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વિજાપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે.
સાયબર ક્રાઇમ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ
પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ, 2 શિક્ષક અને 1 સિક્યુરિટી ઈન્ચાર્જ સામે કેસ દાખલ કર્યો છે અને આ સાથે જ સ્કૂલમાંથી CCTV કેમેરાનું DVR પણ કબ્જે લેવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસામાં કરંટ લાગતા એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના બની હતી. ખણુસાના સેન્ટ જોસેફ ઈંગ્લિશ મીડિયસ સ્કુલમાં આ સમગ્ર બનાવ બન્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આ સાથે જ વિજાપુરના ખણુસા ખાતે આવેલી સેન્ટ જોસેફ ઈંગ્લીશ મીડિયમ સ્કુલમાં 5 વિદ્યાર્થીઓને નવરાત્રિ મહોત્સવની તૈયારી કરવા માટે જવાબદારી આપવામાં આવી હતી અને તેઓ તૈયારીમાં લાગ્યા હતા. આ દરમિયાન કરંટ લાગતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને અન્ય 4 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને આ ચારેય વિદ્યાર્થીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ નવરાત્રિ મહોત્સવની ઉજવણીની તૈયારી કરતા હતા અને કરંટ લાગતા આર્યરાજ ઉપેન્દ્રસિંહ સિસોદિયા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને હાલમાં સ્કુલના પ્રિન્સિપાલ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.