ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજનાની કામગીરી પારદર્શક અને ઝડપી બને તથા અરજદાર ઘરે બેઠા-બેઠા જ ફોર્મ ભરી આ યોજનાનો લાભ મેળવી શકે તેવા ઉમદા હેતુસર આ યોજના અંતર્ગતની તમામ કામગીરી "e-kutir" પોર્ટલ પર ઓનલાઇન કરાઈ છે.


પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઇ ગયેલ છે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે તેમના ધંધાને અનુરૂપ સાધન-ઓજાર સ્વરૂપે સહાય આપવાની યોજના છે. બનાસકાંઠા જિલ્લાના નબળા વર્ગના અરજદારોએ યોજનાનો લાભ મેળવવા માટે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગત તા. ૦૮/૦૪/૨૦૨૫થી "e-kutir" પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઇ ગયેલ છે.

બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું

બનાસકાંઠા જિલ્લાના અરજદારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત યોજનાનો લાભ મેળવવા માટે https://e-kutir.gujarat.gov.in/ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. યોજના માટે કોઇ કચેરી મારફત કોઇ એજન્ટો/દલાલો કે અનધિકૃત વ્યક્તિઓની માન્યતા આપેલ નથી. જેથી લાભ અપાવવાના બહાને કોઇપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં.આ યોજના અંતર્ગત મળવા પાત્ર ટુલકીટના નામ જેમાં અનાજ બનાવટ, ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રિપેરીંગ, દૂધ દહીં વેચનાર, પંચર કીટ, પાપડ બનાવટ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસિંગ અને રિપેરીંગ, સેન્ટીંગ કામનો સમાવેશ થાય છે તેમ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

  • Follow us on: