- 5 ગ્રામ મીઠામાં 2 ગ્રામ સોડિયમ હોય છે
- વયસ્ક વ્યક્તિએ 2 ગ્રામથી વધુ સોડિયમ ખાવું નહીં
- વધારે મીઠાનું સેવન બ્લડ પ્રેશરની બીમારી નોંતરે છે
ભારતમાં કરોડો લોકો હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની બીમારી સામે લડી રહ્યા છે અને આ આંકડો રોજ વધી રહ્યો છે. આજના સમયમાં દરેક ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ડાયટ અને તણાવ હાઈ બ્લડપ્રેશરનું કારણ બની શકે છે. તેનાથી હાર્ટ સંબંધી બીમારીનો ખતરો પણ વધી જાય છે. આ સાથે તેનું મુખ્ય કારણ મીઠાનું વધારે સેવન કરવું પણ છે. મીઠું બ્લડપ્રેશર પર ખરાબ અસર કરે છે.
વયસ્ક વ્યક્તિએ 2 ગ્રામથી વધુ સોડિયમ ખાવું નહીં
WHOના આધારે એક દિવસમાં 5 ગ્રામથી વધારે મીઠાનું સેવન હાઈ બ્લડપ્રેશરનો ખતરો વધારે છે અને તેનાથી આગળ જઈને હાર્ટની ગંભીર તકલીફો પણ થઈ શકે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનના અધ્યયન અનુસાર સામાન્ય રીતે દરેક પ્રકારના ભોજનમાં તે 3.8 ટકા હોય છે અને તે ખાધા બાદ લોહીની વાહિનીઓના ખૂલવાની ક્ષમતા પર અસર કરે છે. શોધકર્તાઓએ કહ્યું કે ભોજનમાં વધારે મીઠાના સેવનથી ધમનીઓ સંકોચાઈ જાય છે અને બ્લડ ફ્લો પ્રભાવિત થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થતિ ભોજનના અડધા કલાક બાદ બનવા લાગે છે.
વધારે મીઠાના સેવનથી શરીરને થાય છે નુકસાન
ભોજનમાં વધારે મીઠાના સેવનથી બ્લડ પ્રેશર, હાઈપર ટેન્શન અને સામાન્ય હ્રદય રોગનો ખતરો વધે છે. કોઈ પણ વ્યક્તિએ આખા દિવસમાં કોઈ પણ સ્થિતિમાં 5 ગ્રામથી વધારે મીઠાનું સેવન કરવું નહીં અને સાથે કોશિશ કરવી કે આખા દિવસમાં લગભગ 2 ગ્રામ મીઠું તમારા શરીરમાં જાય. હાઈપરટેન્શન સામે લડી રહેલા લોકોએ 1 દિવસમાં 1.5 ગ્રામથી વધારે મીઠું ખાવું નહીં. તે હેલ્થ માટે નુકસાનદાયી બને છે. આ સાથે WHOનું કહેવું છે કે 5 ગ્રામ મીઠામાં 2 ગ્રામ સોડિયમ હોય છે. 1 વયસ્ક વ્યક્તિઓ રોજ 2 ગ્રામથી વધુ સોડિયમ લેવું નહીં. રોજ 5 ગ્રામથી વધુ મીઠાનું સેવન મુશ્કેલીઓ નોંતરે છે.
મીઠા વિનાનું ભોજન ફિક્કું લાગે છે. તે ફક્ત ભોજનનો સ્વાદ વધારતું નથી પણ શરીરને ફાયદો પણ આપે છે. તેમાંથી આયોડિન મળે છે. તે થાયરોઈડ ગ્લેંડને રેગ્યુલેટ કરીને બોડીમાં ફ્લ્યૂડ્સનું પ્રમાણ સંતુલિત કરે છે. તેનાથી અનેક ફાયદા થાય છે પણ સાથે તેનો ઉપયોગ શરીરને નુકસાન પણ કરી શકે છે. આ માટે તમે મીઠાના સેવન પર ધ્યાન આપો તે જરૂરી છે.