- એક વર્ષમાં છ વખત બિહારની મુલાકાતે શાહ
- છપરા, પશ્ચિમ ચંપારણ, પટણામાં રેલી કરેલી છે
- લોકસભાની ચૂંટણીનો બિહારમાં પ્રચાર શરૂ
કેન્દ્રીયમંત્રી અમિત શાહ બિહારની મુલાકાતે છે. બિહારના મધુબનીના ઝંઝાપુરમાં તેમણે એક રેલી યોજી હતી. રેલી બાદ સભાને સંબોધન કરતા તેમણે બિહાર રાજ્ય સરકાર પર શાબ્દિક વાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ નીતીશકુમારની સરકારે રક્ષાબંધનની રજા રદ્દ કરવાની વાત કરી હતી. આ અંગે એક ફતવો પણ બહાર પાડ્યો હતો. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં બિહારની 21 બેઠક પર NDAની જીત થઈ હતી.
તમામ બેઠકો પર જીત મળશે
વર્ષ 2019ની ચૂંટણીમાં 40 માંથી 39 બેઠક પર જીત મેળવી હતી. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે. વર્ષ 2024માં 40માંથી 40 બેઠકો પર જીત મેળવીશું. તેલ અને પાણી ક્યારેય ભેગા ન થઈ શકે. બિહારમાં એવું ગઠબંધન જેડીયુ અને આરજેડીનું છે. વડાપ્રધાન બનવા માટે નીતીશકુમારે જે ગઠબંધનની રચના કરી છે. એ સંગઠનને પણ તેઓ ડૂબાડી દેશે. કારણ કે તેલ પાણીને પ્રદુષિત જ કરશે. વિપક્ષી ગઠબંધનનું નામ ઈન્ડિયા નક્કી કરવા પર તેમણે કહ્યું કે, યુપીએની સરકારમાં 12 લાખ કરોડથી વધારે પૈસાનું કૌભાંડ થયું હતું. કૌભાંડ એ બિહાર માટે કોઈ નવી વાત નથી. તેથી આ વખત ગઠબંધનનું નામ ઈન્ડિયા નક્કી કરી દેવાયું છે.
રામમંદિર બનતા હવે પેટમાં દુખ્યુ
આ એ જ લોકો છે જેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ઈન્ડિયા ગઠબંધનના લોકો રામચરિત્ર માનસનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસીઓએ અને ગઠબંધનવાળાઓએ અત્યાર સુધીમાં રામ મંદિર બનવા નથી દીધુ. હવે જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તે હવે એમને પેટમાં દુઃખે છે. બિહારમાં લાલુ અને નીતીશની સરકાર ચાલે છે. દરરોજ લૂંટ, હત્યા, અપહરણ, પત્રકારો-દલીતોની હત્યાના કેસ વધી રહ્યા છે. બિહારમાં સ્વાર્થી ગઠબંધન બન્યું છે. બિહાર જંગલરાજની દિશામાં જઈ રહ્યું છે. લાલુ એક્ટિવ થઈ ગયા છે. નીતીશકુમાર એક્ટિવ થઈ ગયા છે. હવે સમજી શકો છો કે બિહાર કેવી રીતે ચાલે છે.
વડાપ્રધાનનું પદ ખાલી નથી
રેલમંત્રી તરીકે હતા એ સમયે લાલુએ કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ કર્યું હવે એની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. નીતીશકુમારને લાલુ પ્રસાદ યાદવે કરેલા ભ્રષ્ટાચાર દેખાતા નથી. પણ યાદ રાખજો આ એ જ લાલુ છે જેમણે બિહારને વર્ષો પાછળ ધકેલવાનું કામ કર્યું છે. બિહારમાં જે ગઠબંધન છે એ ખરેખર તો ઠગબંધન છે. લાલુ પોતાના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માગે છે. નીતીશકુમાર દર વખતની જેમ વડાપ્રધાન બનવા માગે છે. પણ નીતીશકુમાર વડાપ્રધાનનું પદ ખાલી નથી. મોદી ફરીથી એ જ ખુરશી પર આવશે.