છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની આ અથડામણ આજે થઈ હતી અને હજુ પણ ચાલુ છે. જેમાં નક્સલી નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ માર્યો ગયો. તે નક્સલવાદી સંગઠનનો મહાસચિવ હતો. ડીઆરજી સૈનિકોએ તેને મારી નાખ્યો. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે. આ દરમિયાન એક સૈનિક પણ વિરગતિ પામ્યો છે.
બસવરાજુ છેલ્લા 35 વર્ષથી માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિને સભ્ય છે. સરકારે તેના પર લગભગ 1.5 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 70 વર્ષનો બસવરાજુ શ્રીકાકુલમ જિલ્લાના જિયાનાપેટા ગામનો રહેવાસી હતો. નવેમ્બર 2018થી સીપીઆઈ માઓવાદી સંગઠનના મહાસચિવની જવાબદારી હતી. પોતાની પાસે હંમેશા એકે 47 રાઈફલ રાખતો હતો. તેમની પ્રવૃત્તિઓ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હતી.
વારંગલથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
બસવરાજુએ 24 વર્ષ સુધી પોલિટબ્યુરો સભ્ય તરીકે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. તેમણે પાર્ટીના સેન્ટ્રલ મિલિટરી કમિશનનો વડો હતો. વારંગલની રિજનલ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ટેક કર્યું. એવું કહેવાય છે કે 1970માં પોતાનું ઘર છોડી દીધું હતું.
બસવરાજુ હુમલાના આયોજન માટે માહિર
બસવરાજુ સૈન્યના કમાન્ડિંગ અને આક્રમક હુમલાઓ કરવામાં માહિર હતો. હુમલાઓનું આયોજન કરવામાં પણ નિષ્ણાત હતો. નવવલ્લા કેશવ રાવ ગંગન્ના, વિજય, દર્પુ નરસિંહ રેડ્ડી, નરસિંહ, પ્રકાશ, કૃષ્ણ વગેરે નામોથી પણ ઓળખવામાં આવતા હતા.
બસવરાજુએ આ હુમલાઓની યોજના બનાવી હતી :
- 2010માં દાંતેવાડા હુમલો : આ નક્સલી હુમલામાં 76 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા.
- 2013માં જીરામ ઘાટી હુમલો: આ નક્સલી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા, જેમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મંત્રી મહેન્દ્ર કર્મા અને કોંગ્રેસના નેતા નંદ કુમાર પટેલનો સમાવેશ થાય છે.
- 2018 અરાકુ હુમલો : આંધ્રપ્રદેશ તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય કિદરી સર્વેશ્વર રાવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સિવેરી સોમાની હત્યાનું આયોજન કર્યું હતું.
- 2019 ગઢચિરોલી હુમલો : મહારાષ્ટ્રના 15 કમાન્ડો અને અન્ય એક વ્યક્તિની હત્યામાં પણ સામેલ હતો.