• હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં ભારે વરસાદ
  • અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા
  • વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અપીલ કરી 

હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં મંગળવારે સવારે વાદળ ફાટવાથી પ્રખ્યાત ટ્રેકિંગ સ્થળ તોશમાં ઘણી દુકાનો, મકાનો અને એક પુલને નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે તોશમાં ઘણા બૌદ્ધ મંદિરો અને મઠો છે. અહેવાલો અનુસાર, વાદળ ફાટવાની ઘટના લગભગ 3 વાગ્યે બની હતી. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિકોએ જણાવ્યું કે આભ ફાટવાથી અચાનક પૂર આવ્યું જેના કારણે જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક આવેલા પૂરને કારણે ઘણા બગીચાઓ પણ નાશ પામ્યા છે. કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરુલ એસ રવીશે જણાવ્યું કે આ ઘટના સવારે મણિકરણના તોશ વિસ્તારમાં બની હતી અને કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું, 'અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ નદીઓ અને નાળાઓથી દૂર રહે અને નાળાઓ પાસે અસ્થાયી બાંધકામો ન કરે.' ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

'લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે'

વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે નકથાનને જોડતા રસ્તાઓ અને પુલને નુકસાન થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજેપી નેતાએ X પર લખ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ સરકાર અને વહીવટીતંત્રનો કોઈ પ્રતિનિધિ હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યો નથી. સરકારે નુકસાનની ભરપાઈ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા સહિતની વહેલી તકે રાહત કાર્ય શરૂ કરવામાં આવે. પાર્વતી ખીણમાં ઘણા સુંદર ગામો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેની મુલાકાત લે છે.

અનેક જિલ્લાઓમાં માર્ગો વાહનવ્યવહાર માટે બંધ 

જણાવી દઈએ કે, સોમવારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 7 જિલ્લામાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની 'ઓરેન્જ' ચેતવણી જારી કરી હતી . મંડીમાં 29, કુલ્લુમાં 8, શિમલામાં 4 અને કાંગડા અને કિન્નૌર જિલ્લામાં 2-2 સહિત કુલ 45 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ હતા અને રાજ્યભરમાં 215 ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા હતા, એમ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું. હવામાન વિભાગે 30 જુલાઈ અને 2 ઓગસ્ટે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની 'યલો એલર્ટ' પણ જારી કરી છે. આગામી 4-5 દિવસમાં રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ થવાની સંભાવના છે અને ભારે વરસાદ પડશે.

  • Follow us on: