મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભિવંડીના શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિર (શક્તિપીઠ) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સીએમ ફડણવીસે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના કારણે જ આપણે આ દેશમાં આપણા પ્રિય દેવતાઓના મંદિરોમાં દર્શન કરી શક્યા. તેમણે દેશ અને ધર્મ માટે લડાઈ કરીને સ્વરાજ્યની સ્થાપના કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે જેમ હનુમાનજીના દર્શન વિના ભગવાન શ્રી રામના દર્શન પૂર્ણ થતા નથી, તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજના દર્શન વિના કોઈપણ દેવતાના દર્શન પૂર્ણ થતા નથી.


આકરાપાણીએ દેવેન્દ્ર ફડણવીસ 

કાર્યક્રમ દરમિયાન સીએમ ફડણવીસે કહ્યું કે કેન્દ્ર સરકારે છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાઓને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપવા માટે યુનેસ્કોને પ્રસ્તાવ મોકલ્યો છે. આમાં સંગમેશ્વર મહેલનો પણ સમાવેશ થાય છે, જ્યાં છત્રપતિ સંભાજી રાજેને વિશ્વાસઘાતથી પકડવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર તે કિલ્લો કબજે કરીને તેનો વિકાસ કરવા જઈ રહી છે. સીએમ ફડણવીસે કહ્યું કે જો આ દેશમાં કોઈ ઔરંગઝેબની કબરને લઇને વધારે પડતી તુલના અને ગુણગાન કરશે તો તેના ટુકડે ટુકડા કરી દેવામાં આવશે.

ઓરંગઝેબની કબર હટાવવાની માગ

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને રાજકારણ ગરમાયું છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આજે ​​પુણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી હતી. બજરંગ દળના કાર્યકરો આ મુદ્દે ખૂબ જ આક્રમક દેખાયા અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલી સમાધિને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સરકારને અપીલ કરી હતી. તેથી ઔરંગઝેબની કબરની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ કબરની નજીક ન જઈ શકે.

ઇતિહાસકારોનો અભિપ્રાય લો- સુપ્રિયા સુલે 

NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે આ મુદ્દો કોઈ પક્ષ સાથે સંબંધિત નથી પરંતુ ઇતિહાસ સાથે સંબંધિત છે. મને નથી લાગતું કે કોઈ પણ નેતાએ આ બાબતમાં દખલ કરવી જોઈએ. ઇતિહાસકારો આ મુદ્દા પર વાત કરી શકે છે. હું મહારાષ્ટ્ર સરકારને અપીલ કરીશ કે ઇતિહાસકારોનો અભિપ્રાય લીધા પછી જ આ અંગે કંઈક કરે.

જ્યારે બજરંગ દળના નેતા નીતિન મહાજને કહ્યું કે સરકારે યોગ્ય વલણ અપનાવવું જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, નહીં તો આપણે પોતે જ તેને દૂર કરવાની ફરજ પાડીશું.


  • Follow us on: