- RSSનો દશેરા નિમિતે મોટો કાર્યક્રમ
- શંકર મહાદેવન આપશે ખાસ હાજરી
- સવારે શરૂ થશે કાર્યક્રમ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તારીખ 24 ઓક્ટોબરે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તેનો વાર્ષિક વિજયાદશમી ઉત્સવ યોજશે. આ માટે RSSએ પ્રખ્યાત ગાયક શંકર મહાદેવનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. સરસંઘચાલક મોહન ભાગવત રેશિમબાગ મેદાનમાં પરંપરાગત દશેરા પર મેળાવડાને સંબોધિત કરશે. સવારે લગભગ 6.20 વાગ્યે સીપી અને બેરાર કોલેજગેટ અને રેશિમબાગ ગ્રાઉન્ડથી શોભાયાત્રા કાઢવામાં આવશે, જ્યારે મુખ્ય કાર્યક્રમ સવારે 7.40 વાગ્યે શરૂ થશે. મોહન ભાગવત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે અને સંબોધન પણ કરશે.
જીવંત પ્રસારણ કરાશે
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઈવેન્ટનું એસોસિએશનના ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આરએસએસની સ્થાપના કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સપ્ટેમ્બર 1925માં દશેરાના દિવસે કરવામાં આવી હતી. વર્ષ 2022ની દશેરા રેલીમાં સંઘે બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા પર્વતારોહક સંતોષ યાદવને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.
દર વર્ષે જુદા જુદા લોકોને આમંત્રણ
માત્ર નાગપુર જ નહીં સમગ્ર દેશમાં જુદા જુદા સેન્ટર પર દશેરા નિમિતે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સંઘના દશેરા પર્વના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ષ 2022માં દશેરા નિમિતે માઉન્ટ એવરેસ્ટ બે વખત ચઢનારી દુનિયાની પહેલી મહિલા પર્વતારોહક સંતોષ યાદવને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંઘ દર વર્ષે જુદી જુદી પ્રતિભાઓને દશેરા પર આમંત્રણ આપે છે.