- દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
- કોચિંગ સેન્ટર બાળકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે- SC
- SCએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે માગ્યો જવાબ
દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં ભોંયરામાં પાણી ભરાવાથી 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જે મામલે સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લીધુ છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને નોટિસ ફટકારી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોચિંગ સેન્ટર દેશના વિવિધ જગ્યાએથી આવેલા વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે. કોચિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના નિયમના પાલનથી જોડાયેલ હાઇકોર્ટના એક આદેશ વિરુદ્ધ કોચિંગ સેન્ટર ફેડરેશન સુપ્રિમ કોર્ટ પહોંચ્યુ હતું.
સુપ્રીમ કોર્ટે શું કરી ટિપ્પણી ?
આ અંગે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે. જો સલામતીના માપદંડો પૂરા ન થઈ શકે તો તેને માત્ર ઓનલાઈન ચલાવવું વધુ સારું રહેશે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટના આંખ ખોલનારી છે. જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્યાં ભણવા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી ગયા. કોર્ટે અરજીકર્તા કોચિંગ સેન્ટર ફેડરેશન પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારને કર્યો આ સવાલ
જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું કે અમને ખબર નથી કે દિલ્હી સરકાર કે કેન્દ્ર સરકારે આ મામલે શું પ્રભાવી ઉપાયો કર્યા. પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા કોચિંગ સેન્ટરમાં ભણતા વિદ્યાર્થીઓનું મોત એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કોર્ટે આગળ કહ્યું કે અમે આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લઈએ છીએ, જેથી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ આપવામાં આવે. માં તેઓએ જણાવવું જોઈએ કે અત્યાર સુધી સલામતીના કયા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ તેનું પાલન કરાવા માટે કેવા પ્રકારની અસરકારક પદ્ધતિ રજૂ કરવામાં આવી છે? તેમ સવાલ પૂછ્યો હતો.