• મનીષ સિસોદિયાની કેસના વિવિધ પાસાઓ પર પૂછપરછ કરાઈ
  • CM KCRની પુત્રી કવિતાને આ કેસમાં ED સમક્ષ હાજર થવા મળ્યો સમય
  • આવતીકાલે પણ મનીષ સિસોદિયાની પૂછપરછ ચાલુ રહી શકે છે

EDએ આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કરી હતી. આ પહેલા મંગળવારે પણ EDએ મનીષ સિસોદિયાની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની પણ આજે આ જ કેસમાં પૂછપરછ થવાની હતી, પરંતુ તેણે EDને 11 માર્ચે હાજર રહેવા વિનંતી કરી હતી, જેને કેન્દ્રીય એજન્સીએ સ્વીકારી હતી.

BRS નેતા કવિતાએ દિલ્હીમાં કહ્યું કે અમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો સામનો કરીશું, અમે કંઈ ખોટું કર્યું નથી. કવિતા આજે જ દિલ્હી પહોંચી છે. તેણે કહ્યું કે હું 11 માર્ચે નવી દિલ્હીમાં ED સમક્ષ હાજર થઈશ. આ અઠવાડિયાની શરૂઆતમાં, તેણે કહ્યું હતું કે તે તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે, પરંતુ મહિલા આરક્ષણ બિલના સમર્થનમાં દિલ્હીમાં 10 માર્ચે પ્રસ્તાવિત ધરણાને ધ્યાનમાં રાખીને તેણીના નિવેદનની તારીખ પર કાનૂની અભિપ્રાય માંગશે.

કવિતાએ કહ્યું હતું કે તેના પિતા અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની લડાઈ સામે આ ડરાવવાની રણનીતી છે પણ તેઓ તેને ડરાવી શકશે નહીં. ED તેનો મુકાબલો અરુણ રામચંદ્ર પિલ્લઈ સાથે કરી શકે છે, જેમણે કથિત રીતે એક્સાઈઝ પોલિસી કેસમાં સામેલ કથિત 'સાઉથ ગ્રુપ'માં કવિતાના હિતોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પિલ્લઈની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મનીષ સિસોદિયાની કેસના વિવિધ પાસાઓ પર પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં પુરાવાનો નાશ, બહુ બધા વેપારીઓ માટે નફાના માર્જિનને 5%થી 12% સુધી બદલવાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે તેની પૂછપરછ શુક્રવારે પણ ચાલુ રહી શકે છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ કહ્યું કે અત્યારે અમે મોટા ષડયંત્ર અને પૈસાની લેવડ-દેવડ પર ધ્યાન આપી રહ્યા છીએ.


  • Follow us on: