• બાળકી પીએમની રેલીમાં સ્કેચ લઈને પહોંચી હતી

  • સ્કેચ બદલ વડાપ્રધાને આકાંક્ષાનો માન્યો આભાર
  • મોદીએ પત્ર લખી બાળકીને પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બાળકીને પત્ર લખ્યો છે. આ બાળકી પીએમ સ્કેચ લઈને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં પહોંચી હતી. આ બાળકીનું નામ આકાંક્ષા છે. પીએમએ પત્રમાં લખ્યું છે કે આ સ્નેહ અને પ્રેમ તેમને દેશની સેવા કરવાની શક્તિ આપે છે. તેમણે પત્રમાં આકાંક્ષાનો આભાર માન્યો છે.

બાળકીનાં સ્કેચથી અભિભૂત થયા પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે છત્તીસગઢમાં તેમની એક ચૂંટણી રેલીમાં 'સ્કેચ' લઈને આવેલી બાળકીને પત્ર લખ્યો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે ''તેમના જેવી દિકરીઓ દેશના ભવિષ્યને નવી દિશા પ્રદાન કરશે''. આકાંક્ષાને લખેલા પત્રમાં મોદીએ કહ્યું હતું કે ''તેમની પાસેથી મળેલો 'સ્નેહ અને લાગણી' રાષ્ટ્રની સેવામાં તેમની શક્તિ છે.'' ગુરુવારે છત્તીસગઢના કાંકેરમાં વડાપ્રધાન એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વેળાએ આ બાળકી વડા પ્રધાનનો સ્કેચ પકડતા જોવા મળી હતી.

પત્રનાં માધ્યમથી આભાર કર્યો વ્યક્ત

શુક્રવારે લખેલા પત્રમાં મોદીએ આકાંક્ષાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેને હંમેશા છત્તીસગઢના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને લોકોએ પણ ઉત્સાહપૂર્વક દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. વડાપ્રધાને પત્રમાં લખ્યું છે કે 'આવનારા 25 વર્ષ તમારા જેવા બાળ મિત્રો અને દેશ માટે મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન અમારી યુવા પેઢી, ખાસ કરીને તમારા જેવી દીકરીઓ તેમના સપના પૂરા કરશે અને દેશના ભવિષ્યને નવી દિશા આપશે.'' તેમણે વધુમાં કહ્યું હતું કે ''અમારી સરકારનો હેતુ અમારી દીકરીઓ માટે સ્વસ્થ અને સુરક્ષિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે.'' મોદીએ આકાંક્ષાને ખંતથી અભ્યાસ કરવાની સલાહ આપી અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે પોતાની સિદ્ધિઓથી પરિવાર, સમાજ અને દેશને ગૌરવ અપાવશે.


  • Follow us on: