- જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલના ઘરે દરોડા
- રાજ્યપાલ સત્યપાલના મીડિયા સલાહકાર પર પણ કાર્યવાહી
- દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં CBIના દરોડા ચાલુ
તપાસ એજન્સી CBIએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલના ઘરે દરોડા પાડ્યા છે. દરોડાની આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીર વીમા યોજના કૌભાંડમાં કરવામાં આવી છે. માહિતી અનુસાર CBI કુલ 8 સ્થળો પર દરોડા પાડી રહી છે. જે લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં જમ્મુ-કાશ્મીરના તત્કાલિન રાજ્યપાલ સત્યપાલ મલિકના મીડિયા સલાહકાર પણ સામેલ છે. દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં CBIના દરોડા ચાલુ છે.
ઈન્સ્યોરન્સ કૌભાંડ અંતર્ગત CBIના દરોડા
તમને જણાવી દઈએ કે સીબીઆઈએ 28 એપ્રિલે ઈન્સ્યોરન્સ કૌભાંડમાં સત્યપાલ મલિકની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ સત્યપાલ મલિકના ઘરે થઈ હતી. આ પહેલા બિહાર, જમ્મુ-કાશ્મીર, ગોવા અને મેઘાલયના ગવર્નર પદેથી નિવૃત્ત થયા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ સીબીઆઈએ આ કેસમાં પ્રથમ વખત તેમનું નિવેદન નોંધ્યું હતું. સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઈલો ક્લિયર કરવા માટે લાંચની ઓફર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 2018માં સત્યપાલ મલિકને કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા હતા. સત્યપાલ મલિકના કાર્યકાળ દરમિયાન, 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. આ દરમિયાન સત્યપાલ મલિકની ભૂમિકા પણ મહત્વની હતી. આ પછી સત્યપાલ મલિકની મેઘાલયના રાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી હતી.
ફાઇલ પાસ કરવા 150 કરોડ રૂપિયા મળશે
સત્યપાલ મલિકે કહ્યું હતું કે તેમની પાસે બે ફાઈલો મંજૂરી માટે આવી હતી. આમાંથી એક ફાઈલો અનિલ અંબાણીની વીમા કંપનીની હતી અને બીજી આરએસએસ સાથે જોડાયેલા વ્યક્તિની હતી. મલિકે કહ્યું કે આ વ્યક્તિઓ મહેબૂબા મુફ્તીના નેતૃત્વ હેઠળની પીડીપી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીક હોવાનો દાવો કરે છે. ભૂતપૂર્વ ગવર્નર મલિકે કહ્યું હતું કે મને બંને વિભાગના સચિવો દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે આ એક કૌભાંડ છે અને તે મુજબ મેં બંને ડીલ્સ રદ કર્યા છે. તત્કાલીન ગવર્નર મલિકે એમ પણ કહ્યું હતું કે સચિવોએ તેમને કહ્યું હતું કે દરેક ફાઇલ પાસ કરવા માટે તમને 150 કરોડ રૂપિયા મળશે.
માર્ચ 2022માં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું હતું કે સત્યપાલ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે અને પ્રશાસને આ કેસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ પછી CBIએ આ મામલે 2 FIR નોંધી છે.