ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ અંગે વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન અમને ઘણો આંતરરાષ્ટ્રીય ટેકો મળ્યો છે. ભારત પાસે UNSCનો ઠરાવ હતો કે, ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ અને 7 મેના રોજ "ઓપરેશન સિંદૂર" દ્વારા તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ પરનો પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ ન કરે.


પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ પર વાત થશેઃ વિદેશમંત્રી

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે વધુમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાને ભારતને પત્ર લખીને જળ સંધિ પર ફરી વિચાર કરવાની અપીલ કરી હતી. વિદેશમંત્રીએ કહ્યું કે, અમારા માટે ખૂબ જ સારી વાત છે કે, અમારી પાસે હોન્ડુરાસનું નવું દૂતાવાસ છે. તેઓ એવા દેશોમાંનો એક છે જેમણે પહેલગામ આતંકવાદી હુમલા સમયે મજબૂત એકતા બતાવી હતી. વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષોથી રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાન પાસે એવા આતંકવાદીઓની યાદી છે. જેમને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ.

અમે અમારા લક્ષ્ય પ્રાપ્ત કર્યાઃ વિદેશમંત્રી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ થવા અંગે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, "આતંકવાદી માળખાનો નાશ કરીને અમે જે લક્ષ્યો નક્કી કર્યા હતા તે પ્રાપ્ત કર્યા છે. મુખ્ય લક્ષ્યો પ્રાપ્ત થયા હોવાથી, મને લાગે છે કે અમે આ અભિગમ યોગ્ય રીતે અપનાવ્યો હતો. કારણ કે ઓપરેશનની શરૂઆતમાં જ અમે પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો કે અમે આતંકવાદી માળખા પર હુમલો કરી રહ્યા છીએ.

સિંધુ જળ સંધિ સ્થગિતઃ વિદેશમંત્રી

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિ અટકાવવા સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત છે અને જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય રીતે સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે. તેમણે કહ્યું, "કાશ્મીર પર ચર્ચા કરવા માટે ફક્ત એક જ વસ્તુ બાકી છે, તે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય પ્રદેશ ખાલી કરવો, અમે આ ચર્ચા માટે તૈયાર છીએ." 

  • Follow us on: