- ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોને જમીનમાં ધસી પડવા પાછળનું કારણ શોધવા માટે બોલાવવામાં આવ્યા
- રામબનના ડેપ્યુટી કમિશનર ચૌધરીએ કહ્યું કે જમીન હજુ પણ ધસી રહી છે
- વીજળી જેવી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમીન ધસી જવાને કારણે 50થી વધુ મકાનો, ચાર પાવર ટાવર, એક રીસીવિંગ સ્ટેશન અને એક મુખ્ય માર્ગને નુકસાન થયું છે. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે. રામબનના ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીએ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિમી દૂર પરનોટ ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને સહાય અને વીજળી સહિત આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી.
ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોને જમીનમાં ધસી પડવા પાછળનું કારણ શોધવા માટે બોલાવવામાં આવ્યા છે
જ્યારે પરનોટ ગામમાં મકાનોમાં તિરાડો દેખાવાનું શરૂ થયું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને તેના કારણે ગુલ અને રામબન વચ્ચેનો મહત્વપૂર્ણ માર્ગ સંપર્ક ખોરવાઇ ગયો. ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોને જમીનમાં ધસી પડવા પાછળનું કારણ શોધવા માટે બોલાવવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા અધિકારીઓની એક ટીમને પુનર્વસન પ્રયાસો અને સેવાઓની પુનઃસ્થાપન પર દેખરેખ રાખવા માટે તૈનાત કરવામાં આવી છે.
જમીન હજુ પણ ધસી રહી છે
રામબનના ડેપ્યુટી કમિશનર ચૌધરીએ કહ્યું કે જમીન હજુ પણ ધસી રહી છે અને વીજળી જેવી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે પીડિતો માટે તંબુ અને અન્ય વસ્તુઓ આપીશું અને મેડિકલ કેમ્પ પણ લગાવીશું. તેમણે લોકોને ગભરાવું નહીં અને તેમના જીવનની સુરક્ષા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું હતું. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો સાથે સ્થાનિક સ્વયંસેવકો ક્ષતિગ્રસ્ત ઘરોમાંથી સામાન બહાર કાઢવામાં અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે.
પહાડી વિસ્તારોમાં કુદરતી આફત
છેલ્લા કેટલાક વર્ષોમાં, જમ્મુ અને કાશ્મીર અને અન્ય પર્વતીય વિસ્તારોમાં જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ વધી રહી છે. ઉત્તરાખંડ આનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. હવે જમ્મુ-કાશ્મીરના રામબનમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે. કુદરતી આફતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું અને અસરગ્રસ્તોની મદદ માટે વ્યવસ્થાઓ શરૂ કરી દીધી. પ્રથમ, લોકોને અસરગ્રસ્ત ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.