- ઝારખંડના ચક્રધરપુર પાસે ટ્રેન દુર્ઘટના
- હાવડાથી મુંબઇ જતી ટ્રેન પાટા પરથી ઉતરી
- બે યાત્રીઓના મોત, અનેક ટ્રેનો કેન્સલ
દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ વધી રહી છે. ક્યાંક એન્જિન છુટુ પડી જાય છે તો ક્યાંક ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે. તેવામાં આજે આવો બનાવ ઝારખંડમાં બન્યો. ચક્રધરપુરના બારાબામ્બુ રેલવે સ્ટેશન પાસે હાવડા મુંબઇ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ.ટ્રેન નંબર 12810ની આ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 2 યાત્રીઓના મોત થયા જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
આ ટ્રેનો કરાઇ ડાયવર્ટ અને રદ
આ રેલ દુર્ઘટનાને કારણે છત્તીસગઢમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને કેન્સલ તથા ડાયવર્ટ કરવામાં આવી છે. 12810 હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરી જવાને કારણે 5 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 4 ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી હોવાનું દક્ષિણ પૂર્વીય રેલવેએ માહિતી આપી છે.
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ દુર્ઘટના બાદ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
- ટાટાનગર- 06572290324
- ચક્રધરપુર- 06587 238072
- રાઉરકેલા- 06612501072/ 06612500244
- હાવડા- 9433357920/ 03326382217
18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત જમશેદપુરથી લગભગ 80 કિમી દૂર બારાબામ્બુ પાસે સવારે 3.45 કલાકે થયો હતો. આ સ્થળ પશ્ચિમ સિંહભૂમની ખૂબ નજીક છે. મુંબઈ-હાવડા મેઈલના 22માંથી 18 ડબ્બા બારાબામ્બુ પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંથી B4 કમ્પાર્ટમેન્ટમાં એક મુસાફરનું મોત થયું હતું. જ્યારે એ કોચમાં અન્ય એક વ્યક્તિ ફસાયા હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું. અહેવાલ છે કે કુલ 16 પેસેન્જર કોચ હતા.