કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લગભગ 50 વરિષ્ઠ ડોક્ટરોએ મંગળવારે રાજીનામું આપી દીધું છે. આ તમામ ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોના આમરણાંત ઉપવાસને સમર્થન અને એકતા દર્શાવતા તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે સવારે મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના વડાઓની બેઠકમાં સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અન્ય હોસ્પિટલના ડોક્ટરો પણ રાજીનામું આપી શકે
એક વરિષ્ઠ ડોક્ટરે કહ્યું કે, "મંગળવારે વિભાગોના વડાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી હોસ્પિટલના તમામ 50 વરિષ્ઠ ડોક્ટરોએ તેમના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા છે. આ જુનિયર ડોક્ટરો પ્રત્યે અમારી એકતા વ્યક્ત કરવા માટે છે. જે પીડિતા માટે ન્યાય માટે લડી રહ્યા છે." NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો પણ પોતાનું રાજીનામું આપી શકે છે.
જુનિયર ડોક્ટરો સાથે એકતાનું વચન
પશ્ચિમ બંગાળના ડોક્ટરોના સંયુક્ત મંચે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ન્યાયની માંગ કરી રહેલા જુનિયર ડોક્ટરો સાથે એકતાનું વચન આપ્યું છે. આ સાથે તેઓ ભ્રષ્ટ આરોગ્ય વ્યવસ્થાને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. જુનિયર ડોક્ટરો તેમની માંગણીઓને લઈને છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર છે.
10 ડોક્ટરો સહિત 59 સ્ટાફને સસ્પેન્ડ કરાયા
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થ્રેટ કલ્ચર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી સમિતિએ મોટી કાર્યવાહી કરી હતી. આ કમિટીએ 10 ડોક્ટરો સહિત 59 સ્ટાફને સસ્પેન્ડ કર્યા છે. જેમાં ડોકટરો, ઈન્ટર્ન, વિદ્યાર્થીઓ અને હાઉસ સ્ટાફનો સમાવેશ થાય છે. આ ડોક્ટરો પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં રેગિંગનો કેસ પણ સામેલ છે.
10 ડોક્ટરો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
સસ્પેન્શનના આદેશ પહેલાં તપાસ સમિતિએ એક બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓ, ડોક્ટરો અને ઇન્ટર્ન્સના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠક દરમિયાન તબીબી વિદ્યાર્થીઓ બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, હોસ્પિટલમાં 'થ્રેટ કલ્ચર'ના આરોપી 59 લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા. 10 ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અન્યો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીઓના નામ સ્ટેટ મેડિકલ કાઉન્સિલને મોકલાયા
સસ્પેન્ડ કરવામાં આવેલા ડોક્ટરોમાં સૌરભ પાલ, આશિષ પાંડે (જેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી), અભિષેક સેન, આયુશ્રી થાપા, નિરંજન બાગચી, શરીફ હસન, નીલાગ્નિ દેબનાથ, અમરેન્દ્ર સિંહ, સતપાલ સિંહ અને તનવીર અહેમદ કાઝીનો સમાવેશ થાય છે. તેઓને આગામી 72 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આરોપીઓના નામ સ્ટેટ મેડિકલ કાઉન્સિલને પણ મોકલવામાં આવશે, જેથી તેમનું રજિસ્ટ્રેશન રદ કરી શકાય.