• 1જૂને સાતમા તબક્કાનું મતદાન
  • 57 બેઠકો પર ચૂંટણી મેદાને દિગ્ગજો
  • અંતિમ તબક્કામાં યુપી અને પંજાબની 13-13 બેઠકો 

19 એપ્રિલથી શરૂ થયેલી લોકસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ગુરુવારે સાંજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 1 જૂને 8 રાજ્યની 57 બેઠક પર મતદાન થવાનું છે જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના મતવિસ્તારોનો સમાવેશ થાય છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યારે આ વખતની ચૂંટણીમાં કયા દિગ્ગજો મેદાને છે તે જાણીએ.

આ દિગ્ગજો ચૂંટણી મેદાને

  • પીએમ મોદી -વારાણસી
  • કંગના રનૌત -મંડી
  • રવિ કિશન -ગોરખપુર
  • અનુરાગ ઠાકુર-હમીરપુર
  • અભિષેક બેનર્જી -ડાયમંડ હાર્બર
  • મીસા ભારતી-પાટલીપુત્ર
  • ચરણજીત સિંહ ચન્ની -જલંધર
  • હરસિમરત કૌર બાદલ -ભટિંડા
  • અફઝલ અંસારી-ગાઝીપુર
  • મનીષ તિવારી-ચંડીગઢ
  • રવિશંકર પ્રસાદ -પટના સાહિબ
  • પવન સિંહ -કરકટ

પીએમ મોદી -વારાણસી

 પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણીના છેલ્લા તબક્કામાં વારાણસીમાં કોંગ્રેસ નેતા અજય રાય સામે ચૂંટણી લડશે. પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી સીટ પરથી જીત્યા હતા અને હવે તેઓ તેમના ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહ્યા છે.

કંગના રનૌત -મંડી

 2024ની સામાન્ય ચૂંટણી માટે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ઉતારી છે. કંગના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ સામે ચૂંટણી લડી રહી છે, જે દિવંગત પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર છે. મંડી વીરભદ્રના પરિવારનો ગઢ છે અને આ બેઠક હાલમાં તેમની પત્ની પ્રતિભા દેવી સિંહ પાસે છે.

રવિ કિશન -ગોરખપુર

 અભિનેતા અને રાજકારણી રવિ કિશન ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાજલ નિષાદ સામે ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2019માં રવિ કિશને 60 ટકાથી વધુ વોટ મેળવીને સપાના ઉમેદવાર રામભુઆલ નિષાદને હરાવ્યા હતા.

અનુરાગ ઠાકુર-હમીરપુર

 કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુર મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર સતપાલ સિંહ રાયજાદા સામે લડી રહ્યા છે. પિતાના રાજીનામા બાદ ઠાકુર પ્રથમ વખત 2008માં હમીરપુરથી સાંસદ બન્યા હતા. આ પછી તેણે 2009, 2014 અને 2019માં આ બેઠક પરથી વધુ ત્રણ ચૂંટણી જીતી.

અભિષેક બેનર્જી -ડાયમંડ હાર્બર

 મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો સીપીઆઈ(એમ)ના પ્રતિકુર રહેમાન અને ભાજપના અભિજીત દાસ સાથે થશે. 2014 અને 2019માં અભિષેક બેનર્જી આ સીટ પરથી જીત્યા હતા.

મીસા ભારતી-પાટલીપુત્ર

 આરજેડીએ લાલુ પ્રસાદ યાદવની મોટી પુત્રી મીસા ભારતીને બિહારના પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયેલા ભાજપના ઉમેદવાર રામ કૃપાલ યાદવે મીસા ભારતીને હરાવ્યા હતા. પાછળથી 2019 માં, ભારતીએ સીટ જીતવાનો બીજો પ્રયાસ કર્યો, જો કે, તે ફરીથી રામ કૃપાલ યાદવ દ્વારા હાર્યો. દરમિયાન રામ કૃપાલ યાદવને આ બેઠક પરથી હેટ્રિકની આશા છે.

ચરણજીત સિંહ ચન્ની -જલંધર

કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબના જલંધર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર છે. ચન્ની જલંધર સીટ પરથી AAP ઉમેદવાર પવન કુમાર ટીનુ અને શિરોમણી અકાલી દળના ઉમેદવાર મોહિન્દર સિંહ કેપી સામે ચૂંટણી લડી રહ્યા છે.

હરસિમરત કૌર બાદલ -ભટિંડા

શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ પંજાબના ભટિંડા લોકસભા સીટથી મેદાનમાં છે. આ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જીત મોહિન્દર સિંહ સિદ્ધુ, AAPના ગુરમીત સિંહ ખુડિયાન અને બીજેપીના પરમપાલ કૌર સિદ્ધુ વચ્ચે ઓલ રાઉન્ડ ટક્કર છે.

અફઝલ અંસારી-ગાઝીપુર

સમાજવાદી પાર્ટીએ અફઝલ અંસારીને ગાઝીપુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે ભાજપ તરફથી પારસનાથ રાય અને બસપા તરફથી ઉમેશ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અફઝલ અન્સારીએ બીએસપીના ઉમેદવાર તરીકે ભાજપના મનોજ સિન્હાને હરાવ્યા હતા.

મનીષ તિવારી-ચંડીગઢ

કોંગ્રેસે ચંડીગઢ લોકસભા સીટ પરથી મનીષ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે ભાજપના સંજય ટંડન મેદાનમાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના કિરણ અનુપમ ખેરે કોંગ્રેસના પવન કુમાર બંસલને હરાવ્યા હતા.

રવિશંકર પ્રસાદ -પટના સાહિબ

ભાજપે ફરી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે કોંગ્રેસના અંશુલ અભિજીત કુશવાહા ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રવિશંકર પ્રસાદે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાને હરાવ્યા હતા.

પવન સિંહ -કરકટ

ભોજપુરી ગાયક પવન સિંહને ભાજપ દ્વારા આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમણે ત્યાંથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને કરકટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી એનડીએના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા અને સીપીઆઈએમએલના ઉમેદવાર રાજા રામ સિંહ કુશવાહા મેદાનમાં છે.


  • Follow us on: