પ્રયાગરાજ મહાકુંભ મેળાક્ષેત્રમાં આગ લાગી હતી. સેક્ટર 19માં મહાકુંભ મેળા ક્ષેત્રમાં આગ લાગી હતી. ટેન્ટ સીટીમાં લાગેલી આગ ધીરે ધીરે વધતી ગઇ અને સેક્ટર 20 સુધી પહોંચી હતી. જો કે યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાતા હાલ આગ પર કાબૂ મેળવી દેવાયો છે. જો કે આ એટલી મોટી ઇવેન્ટ છે કે ત્યાં નાનકડી આગ પણ લાગે તો જીવ તાળવે ચોંટે. કારણ કે અહીં કરોડોની સંખ્યામાં લોકો હાજર છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
CM યોગી પહોંચ્યા ઘટના સ્થળે, PM સાથે કરી વાત
ઘટનાને પગલે યુપી સીએમ યોગી આદિત્યનાથ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. તો બીજી તરફ પીએમ મોદીએ આગની ઘટનાની નોંધ લીધી હતી. તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાતચીત કરીને આગ વિશે જાણકારી મેળવી હતી.
બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા: ADG
એડીજી ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે મહા કુંભ મેળાના સેક્ટર 19 માં બે-ત્રણ સિલિન્ડર વિસ્ફોટ થયા હતા, જેના કારણે કેમ્પમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બધા સુરક્ષિત છે, કોઈને ઈજા થઈ નથી. આ મામલાની તપાસ કરવામાં આવશે.
NDRF અને SDRFહાજર
અધિકારીઓએ જણાવ્યું કે અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલી બધી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે. આ આગ એટલી ભીષણ છે કે કાળા ધુમાડાએ આસપાસના સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આસપાસના સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દીધો છે. ફાયર બ્રિગેડ ટીમની સાથે, NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.