સુપ્રીમ કોર્ટે ગુરુવારે અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા 'ઘડિયાળ' ચિન્હનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે અજીતના જૂથને અસ્વીકરણ સાથે આ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ સાથે જ 4 નવેમ્બર સુધીમાં નવું સોગંદનામું દાખલ કરો કે તે સૂચનાનું ઉલ્લંઘન કરશે નહીં.


કોર્ટે નવું સોગંદનામું દાખલ કરવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નવું સોગંદનામું દાખલ કરો કે જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી તમે (અજિત પવાર જૂથ) અમારા નિર્દેશોનું ઉલ્લંઘન કરશો નહીં. આ સાથે એમ પણ કહ્યું કે, તમારા માટે શરમજનક પરિસ્થિતિનું નિર્માણ ન કરો. જો અમને લાગે કે અમારા આદેશનું ઉલ્લંઘન કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે, તો અમે આપમેળે અવજ્ઞાનો કેસ શરૂ કરી શકીએ છીએ.

શરદ પવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી અરજી

સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ શરદ પવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટને અજિત પવારના નેતૃત્વવાળી NCPને ચૂંટણી ચિન્હ "ઘડિયાળ"નો ઉપયોગ કરવાથી રોકવા માટે વિનંતી કરવામાં આવી હતી.

કાકા શરદ પવાર સામે બળવો કરીને અલગ થઈ ગયા હતા અજિત

ઉલ્લેખનીય છે કે, NCPમાં વિભાજન થયા પછી, ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં અજિત પવારના નેતૃત્વવાળા જૂથને પાર્ટીનું ચૂંટણી પ્રતીક "ઘડિયાળ" ફાળવ્યું હતું. અજિત પવારે 2023માં તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે શરદ જૂથને પાર્ટીના નામ તરીકે "રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર" અને ચૂંટણી પ્રતીક "તુરહા" નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શરદ પવારના નામ અને ફોટાનો ઉપયોગ રાજકીય લાભ માટે અજીતનું જૂથ કરી શકે નહીં.

શરદ જૂથે આપી આ દલીલ

આજે સુનાવણી દરમિયાન શરદ પવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ અજિતના જૂથ પર તેમના ચૂંટણી પોસ્ટરમાં અસ્વીકરણનો સમાવેશ ન કરવાનો આરોપ મૂક્યો હતો. સિંઘવીએ કહ્યું કે, પ્રતિદ્વંદ્વી જૂથ માત્ર મત મેળવવા માટે શરદ પવાર સાથે જોડાવા માંગે છે. સુનાવણી દરમિયાન સિંઘવીએ કહ્યું કે, તમે (સુપ્રીમ કોર્ટે) આદેશ પસાર કરીને તેમને (અજિત જૂથ)ને સ્પષ્ટતા કરવા માટે નિર્દેશ આપ્યો હતો કે તમે શરદ પવાર સાથે સંબંધિત નથી અને તમે સંપૂર્ણપણે અજિત પવારના જૂથ છો. પરંતુ અજીત જૂથ દ્વારા આ પ્રકારનું કોઈ ડિસ્ક્લેમર જારી કરવામાં આવ્યું નથી. હવે આ મામલામાં આગામી સુનાવણી 6 નવેમ્બરે થશે.


  • Follow us on: