- 71 મંત્રીઓએ લીધા મંત્રી પદના શપથ
- 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રી
- અનુભવી, દિગ્ગજ અને યુવા નેતાઓ છે પીએમ મોદીની ટીમમાં
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. આ વખતે તેમણે સૌથી મોટી ટીમ પસંદ કરી છે. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે રવિવારે સાંજે દેશ વિદેશની દિગ્ગજ હસ્તીઓની હાજરીમાં પીએમ મોદી સહિત 71 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે હવે ખાતા ફાળવણી ક્યારે થશે તેની સૌ રાહ જોઇ રહ્યું છે.
સૌથી મોટી ટીમ છે મોદી સરકારની
- 43 એવા મંત્રીઓ છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે.
- મોદી સરકારમાં 39 મંત્રીઓ કામ કરી ચૂક્યા છે.
- 6 મંત્રીઓ એવા છે જેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
- શિવરાજ ચૌહાણ જેવા અનુભવી અને ચિરાગ પાસવાન જેવા યુવાઓ પણ આ વખતે મોદીની ટીમમાં
ક્યારે થશે ખાતાની ફાળવણી ?
મળતી માહિતી મુજબ આજે જ મંત્રીઓને ખાતાની ફાળવણી થઇ શકે છે. તેઓએ આજે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આવીને પ્રથમ નિર્ણય ખેડૂતો માટેનો લીધો હતો. કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરવાની ફાઇલ પર સાઇન કરીને 20 હજાર કરોડની સહાય પુરી પાડી. ત્યારે હવે સૌની નજર કયા મંત્રીને કઇ જવાબદારી સોંપવામાં આવશે તેના પર છે, રાજકીય વર્તુળોમાં દરેક વ્યક્તિ અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે.
સાંજે 5 વાગ્યે કેબિનેટની પ્રથમ બેઠક
મહત્વનું છે કે નવી સરકાર બન્યા બાદ પીએમ મોદી એક્શનમાં જોવા મળી રહ્યા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે પીએમ મોદી ડેવલપ્ડ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે. દરેકની નજર CCSના મંત્રીઓ પર છે એટલે કે મોદી સરકારમાં ટોચના ચાર મંત્રી કોણ હશે.
સૌથી લાંબો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ
રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વિદેશી મહેમાનો તેમજ દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો. પીએમ મોદી સહિત 72 લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.