• મુંબઇ એરપોર્ટ પર વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી
  • ફ્લાઈટને ઉડાડવાની ધમકી મળતા મુસાફરોમાં ભય
  • શંકાસ્પદ વસ્તુ ન મળતા સુરક્ષા દળોની ટીમે રાહતનો શ્વાસ લીધો

વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ ફ્લાઈટની સર્ચ કરવામાં આવી હતી. મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ મળી આવી ન હતી. આ પછી સુરક્ષા દળોની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

કેરળના તિરુવનંતપુરમથી વિસ્તારાની ફ્લાઇટ શુક્રવારે મુસાફરો સાથે મુંબઈ માટે ઉપડી હતી. આ અંગે મુંબઈના સહાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રૂ મેમ્બરને 'પ્લેનમાં બોમ્બ' લખેલી એક નોટ મળી, જેણે હંગામો મચાવ્યો. ફ્લાઇટ લગભગ 3.15 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી

એરલાઇનની સૂચના પર પોલીસ પહોંચી અને પ્લેનને ચારે બાજુથી ઘેરી લીધું. અધિકારીએ જણાવ્યું કે પ્લેન લેન્ડ થયા બાદ મુસાફરોને ખતરાની જાણકારી આપવામાં આવી હતી. આ પછી પોલીસ ટીમે મુસાફરો અને તેમના સામાનની તલાશી લીધી. જો કે તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.

દિલ્હી એનસીઆરની શાળાઓને ધમકીઓ મળી હતી

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિલ્હી એનસીઆરની શાળાઓ અને કોલેજોને બોમ્બની ધમકી મળી હતી. આ અંગે શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા હતા. જો કે પોલીસ તપાસ દરમિયાન એક પણ શાળામાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ ધમકી 178 શાળાઓને મળી હતી.

  • Follow us on: