અમદાવાદમાં ગુરૂવારે એર ઈન્ડિયાનું લંડન જતુ પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમા 242 લોકો સવાર હતાં. પ્લેન ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ શહેરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ DGCA દ્વારા ઉડાન પહેલા બોઇંગ 787-8/9 વિમાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
DGCA દ્વારા એર ઈન્ડિયાને આદેશ કરાયો
DGCA દ્વારા બોઈંગના તમામ ડ્રીમ લાઈનર વિમાનોની મોટા પાયે કડક તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. DGCA દ્વારા એર ઈન્ડિયાને આદેશ આપવામાં આવ્યો છે કે, તે 15 જૂન 2025ની મોડી રાતથી ભારતથી ઉડાન ભરનારા વિમાનોની ઉડાન પહેલા જ વિશેષ તપાસ પ્રક્રિયાને અનિવાર્ય રૂપે લાગુ કરે. DGCA દ્વારા વિમાનોની ઉડાન પહેલા કેટલીક મહત્વની ટેકનિકલ તપાસનો પણ નિર્દેશ આપ્યો છે.
આ પ્રક્રિયા આગળના આદેશ સુધી ચાલુ રાખવા સૂચના
DGCA દ્વારા ફ્યૂઅલ પેરામિટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ એક્ટુએટર ઓપરેશન, ઓઈલ સિસ્ટમ અને હાઈડ્રોલિક સિસ્ટમની તપાસ સામેલ કરવામા આવી છે. આ સાથે ટેક ઓફ પહેલા પેરામિટર્સની સમિક્ષા કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત DGCA દ્વારા ફ્લાઈટ કંટ્રોલ ઈન્સપેક્શનને ટ્રાંઝિટ નિરીક્ષણમાં જોડવું અને આ પ્રક્રિયા આગળના આદેશ સુધી ચાલુ રાખવામાં આવે તેવો પણ નિર્દેશ કરાયો છે.
બે સપ્તાહની અંદર પાવર ઈન્સ્યોરન્સ ચેક કરવું પડશે
આ ઉપરાંત બે સપ્તાહની અંદર પાવર ઈન્સ્યોરન્સ ચેક કરવાનું પણ ફરજિયાત કરાયું છે. છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રીમ લાઈનર વિમાનોમાં સામે આવેલા રિપિટિટિવ ટેકનીકલ ખરાબીની પણ સમીક્ષા કરવા અને તેના સાથે જોડાયેલ તમામ મેન્ટેનેન્સ કાર્યોને ઝડપથી ઉકેલવા આદેશ કરાયો છે. DGCAનું આ પગલું એર ઈન્ડિયાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુથી લેવાયું છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાય.