જમ્મુ-કાશ્મીર ટ્રાફિક પોલીસે અમરનાથ યાત્રા 2026ને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી 2 જુલાઈથી 28 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. યાત્રાળુઓના કાફલાની સુરક્ષિત અને સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે તેમજ કાશ્મીર ખીણના વિવિધ માર્ગો પર ખાસ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.


યાત્રાળુઓનો કાફલો સવારે 4 વાગ્યે જમ્મુથી રવાના થશે

એડવાઈઝરી મુજબ, બાલટાલ રૂટ માટે યાત્રાળુઓનો કાફલો સવારે 4 વાગ્યે જમ્મુથી રવાના થશે, જ્યારે પહલગામ રૂટ માટેનો કાફલો સવારે 4:15 વાગ્યે પ્રસ્થાન કરશે. બાલટાલ અને પહલગામથી જમ્મુ પરત ફરતા કાફલાઓની રવાનગી સવારે 6 વાગ્યાથી શરૂ થશે. પ્રવાસીઓ અને સામાન્ય મુસાફરો માટે પણ વિવિધ સ્થળોએ કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. જમ્મુથી કાશ્મીર ખીણ તરફ જતા વાહનો માટે નગરોટા, ઉધમપુર, ચંદ્રકોટ અને લંબાર-બનિહાલ ખાતે નિર્ધારિત સમય બાદ આગળ જવાની મંજૂરી નહીં મળે. નવયુગ ટનલ પાર કરવાનો અંતિમ સમય બપોરે 3 વાગ્યે રાખવામાં આવ્યો છે.

પ્રવાસી વાહનોને સવારે 9 વાગ્યા સુધી બેઝ કેમ્પ છોડવો ફરજિયાત

બાલટાલથી જમ્મુ પરત ફરતા પ્રવાસી વાહનોને સવારે 9 વાગ્યા સુધી બેઝ કેમ્પ છોડવો ફરજિયાત રહેશે, જ્યારે સોનમર્ગથી આગળ વધવાનો અંતિમ સમય સવારે 10 વાગ્યે નક્કી કરાયો છે. નુનવાન-પહલગામથી જમ્મુ તરફ જતા વાહનોને પણ સવારે 10 વાગ્યા સુધી યાત્રા શરૂ કરવાની રહેશે. ટ્રાફિક પોલીસે યાત્રાળુઓ અને પ્રવાસીઓને સલાહ આપી છે કે તેઓ માત્ર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા વચ્ચે જ મુસાફરી કરે. સાંજે 6 વાગ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા હટાવી દેવામાં આવતી હોવાથી કોઈપણ વાહનને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નિયમોનું પાલન કરીને અમરનાથ યાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : INS Udaygiriએ 'હો ચી મિન્હ'ની યાત્રા કરી પૂર્ણ, ભારતીય નેવી અને વિયતનામ નેવીએ કર્યો સંયુક્ત અભ્યાસ

 

  • Follow us on: