ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સરકારી કર્મચારી સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મીરગંજ તાલુકામાં તૈનાત જુનિયર ક્લાર્ક રેહાન ખાનને હિન્દી ટાઇપિંગ પરીક્ષામાં સતત 3 વખત નિષ્ફળ રહેતાં જુનિયર આસિસ્ટન્ટના પદ પરથી હટાવીને ચોથા વર્ગના કર્મચારી એટલે કે પટાવાળાના પદ પર ડિમોટ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 16 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરાયેલા આદેશથી કરવામાં આવી છે.

2021માં મૃતક આશ્રિત કોટામાં ભરતી

રેહાન ખાનની 5 જુલાઈ 2021ના રોજ મૃતક આશ્રિત કોટામાં નિમણૂક થઈ હતી. નિયમ મુજબ જુનિયર આસિસ્ટન્ટના પદ માટે હિન્દી ટાઇપિંગ પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. જોકે, તેઓ સતત 3 પ્રયાસમાં નિર્ધારિત માપદંડ હાંસલ કરી શક્યા નહોતા.

3 તક મળી, ત્રણેયમાં નિષ્ફળ

રેહાન ખાને પ્રથમ ટાઇપિંગ ટેસ્ટ 25 સપ્ટેમ્બર 2023ના રોજ આપ્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ બીજી તક આપવામાં આવી હતી, પરંતુ તેમાં પણ સફળતા મળી નહોતી.

ડિમોશનનો આદેશ બહાર પાડવામાં આવ્યો

આ પછી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ત્રીજી અને અંતિમ તક આપવામાં આવી હતી. આ પરીક્ષામાં પણ તેઓ નિર્ધારિત ટાઇપિંગ માપદંડ પૂર્ણ કરી શક્યા નહોતા. ત્યારબાદ શાસનાદેશ મુજબ 16 સપ્ટેમ્બરે ડિમોશનનો આદેશ બહાર પાડવામાં આવ્યો.

અન્ય કર્મચારીઓને હજુ તક

ટાઇપિંગ પરીક્ષામાં નિષ્ફળ રહેલા અન્ય મૃતક આશ્રિત કર્મચારીઓને પ્રશાસને સુધારાની તક આપી છે. રાહુલ કુમાર અને લક્ષ્મી સક્સેનાને ત્રીજી અને અંતિમ તક આપવામાં આવી છે, જ્યારે કંચિત ચૌધરી અને નેહા જોશીને બીજી તક આપવામાં આવી છે. આ કર્મચારીઓને કમ્પ્યુટર ટાઇપિંગ શીખવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. નિર્ધારિત સમયગાળામાં સુધારો નહીં થાય તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી નાણાંના ગેરવહીવટના કેસમાં કર્મચારી બરતરફ

આ જ જિલ્લામાં પ્રશાસને ફરિદપુરમાં તૈનાત રહી ચૂકેલા અંશુલ વર્માને સરકારી સેવામાંથી બરતરફ કર્યો છે. તેમના પર અમીનના નાણાં પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી ગેરવહીવટ કરવાનો આરોપ હતો. 2015-16માં તેમને અગાઉ પણ બરતરફ કરવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટના આદેશ બાદ ADM સિટીની તપાસ સમિતિએ ફરી આરોપપત્ર તૈયાર કર્યું હતું. તપાસમાં આરોપો સાચા હોવાનું સામે આવ્યા બાદ અગાઉનો બરતરફી આદેશ ફરી અમલમાં મૂકવામાં આવ્યો છે.

કડક કાર્યવાહીથી ચર્ચા

રેહાન ખાનના ડિમોશન અને અંશુલ વર્માની બરતરફી બાદ બરેલી કચેરીના કર્મચારીઓમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. બંને કેસમાં પ્રશાસને નિયમો અને તપાસના આધારે કાર્યવાહી આગળ ધપાવી હોવાનું સામે આવ્યું છે.  


આ પણ વાંચો :   Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video   

આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત