મહારાષ્ટ્રમાં TET પરીક્ષાના પેપર લીક કાંડ બાદ 28 જૂનના રોજ યોજાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે અને ઠાણેના જોઈન્ટ પોલીસ કમિશનર પંજાબરાવ ઉગલેની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


3 આરોપીની કરાઈ છે ધરપકડ 

આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પેપર વેચવા માટે અંદાજે 1.5 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી TET પરીક્ષાના ચાર સેટ પ્રશ્નપત્રો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર રેકેટ પાછળ એક મોટું ગેંગ અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત હોય શકે છે.

4.28 લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવાના હતા

આ પરીક્ષામાં લગભગ 4.28 લાખ ઉમેદવારો ભાગ લેવાના હતા, પરંતુ પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી છે. શિક્ષક સંગઠનોએ માગ કરી છે કે આગામી એક મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકીય પ્રતિસાદમાં કેટલાક નેતાઓએ કહ્યું છે કે પરીક્ષા પહેલા જ આરોપીઓની ધરપકડ સરકારની સફળતા છે, પરંતુ સાથે જ પેપર લીક જેવા કિસ્સાઓ રોકવા માટે વધુ કડક કાયદાની જરૂર છે. હાલ પોલીસ આ સમગ્ર રેકેટના માસ્ટરમાઈન્ડ અને અન્ય સંકળાયેલા લોકોની શોધખોળમાં લાગી છે.

આ પણ વાંચો : NEET UG Re-Exam 2026: 2.79 લાખ વિદ્યાર્થી રહ્યા ગેરહાજર, જાણો મેડિકલ બેઠકો પર શું થશે અસર?


  • Follow us on: