મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના સમૃદ્ધિ મહામાર્ગ પર રવિવારે વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે પાછળથી જોરદાર અથડાતા કારમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને મુસાફરોને બહાર નીકળવાની પણ તક મળી નહોતી.
ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો
આ દુર્ઘટના ધામણગાંવ રેલ્વે તાલુકા વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગ પર બની હતી. પ્રાથમિક તપાસ મુજબ કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી. ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા ટ્રકે અચાનક બ્રેક મારતા કાર સીધી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. મૃતકોમાં બે પુરુષ, બે મહિલાઓ અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ તમામ મૃતકો ચંદ્રપુર જિલ્લાના રહેવાસી હતા અને એક જ પરિવારના સભ્યો હતા. તેઓ અંગત કામ માટે મુંબઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.













