હાઈ-પ્રોફાઈલ રામલિંગમ હત્યા કેસમાં NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર પૂર્વ સભ્યો સામે વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે આ ચારેય લોકોએ હત્યાકાંડમાં સામેલ ફરાર અને જાહેર ગુનેગારોને લાંબા સમય સુધી આશ્રય આપીને કાયદાની પકડથી બચાવવામાં મદદ કરી હતી.
સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો
NIA દ્વારા પૂનમલ્લી સ્થિત વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કે. મોહિદીન, મોહમ્મદ ઈમરાન, તમીમ અંસારી અને અસમતને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર આ ચારેય લોકોએ થિરુભુવનમ વિસ્તારમાં રામલિંગમ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ આરોપીઓ અને કાવતરાખોરોને જાણતા હોવા છતાં આશ્રય આપ્યો હતો. એજન્સીએ ચાર્જશીટમાં Unlawful Activities (Prevention) Actની કલમ 19 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) અને 249નો ઉલ્લેખ કર્યો છે. NIAનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નહોતો, પરંતુ વિસ્તારમા સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો.













