દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે હાલમાં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. આ ભક્તિમય અવસરે તાજેતરમાં સફળ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની સ્ટાર કાસ્ટ વિશેષ રૂપે હાજર રહી હતી. કલાકારોએ બાપુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા અને રામકથાનું શ્રવણ કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. દિલ્હીના આંગણે ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.


બાપુએ ફિલ્મનો ઉલ્લેખ કરતા હર્ષ વ્યક્ત કર્યો

રામકથા દરમિયાન મોરારીબાપુએ ફિલ્મ ‘લાલો’નો ઉલ્લેખ કરતા હર્ષ વ્યક્ત કર્યો હતો. બાપુએ જણાવ્યું કે આ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેમણે જૂની યાદો તાજી કરતા કહ્યું હતું કે ફિલ્મની સ્ટાર કાસ્ટ અગાઉ તલગાજરડા પણ આવી હતી. સૌથી મહત્વની વાત બાપુએ એ જણાવી હતી કે, આ લોકપ્રિય ગુજરાતી ફિલ્મનું હવે હિન્દી વર્ઝન પણ બની રહ્યું છે, જે ગુજરાતી સિનેમા માટે ગૌરવની બાબત છે. બાપુના મતે, પ્રાદેશિક ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે પહોંચે તે આનંદદાયક છે.

મોરારીબાપુએ આપ્યો માર્મિક સંદેશ

સનાતન ધર્મ અને ફિલ્મોના જોડાણ વિશે વાત કરતા મોરારીબાપુએ માર્મિક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ આવી સારી ફિલ્મો દ્વારા સમાજમાં પવિત્ર અને પ્રેરણાદાયી વાતો લોકો સુધી પહોંચાડવી એ પણ સનાતન ધર્મ જ છે. ફિલ્મની ટીમે બાપુના આ શબ્દોને પ્રોત્સાહન તરીકે સ્વીકારી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકો પણ ફિલ્મ ‘લાલો’ના હિન્દી વર્ઝનને લઈને આતુરતા બતાવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: