રેલવે મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લખનૌથી નવી દિલ્હી જઈ રહેલી પ્રતિષ્ઠિત શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રેલવે સુરક્ષા બળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) એ સંયુક્ત રીતે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ફિરોઝાબાદ સ્ટેશન નજીક બની ઘટના
મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 12003 લખનૌ-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ ૧૧ જૂનની સાંજે આશરે ૭:૧૮ વાગ્યે પ્રયાગરાજ ડિવિઝન હેઠળના ફિરોઝાબાદ સ્ટેશન નજીક પહોંચી રહી હતી. આ દરમિયાન અચાનક અજાણ્યા બદમાશોએ ટ્રેનને નિશાન બનાવીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરો વાગવાના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ અને આક્રોશ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ટ્રેનની બારીઓને નુકસાન થયું હોવાની આશંકા છે.













