ગુવાહાટીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6764 ને ગુરુવારે તે સમયે બેંગ્લુરુ ડાયવર્ટ કરવી પડી હતી જ્યારે પાઈલટે ફ્યુલના અભાવે 'fuel mayday' માટે ઈમરજન્સી કોલ જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ચેન્નાઈ એરપોર્ટ પર ભારે ટ્રાફિકને કારણે વિમાનને સમયસર લેન્ડ કરવાની અનુમતિ મળી શકી ન હતી.
આ કારણે ફ્લાઈટ ચેન્નાઈના આકાશમાં ઘણી વખત ચક્કર લગાવી હતી. જેના કારણે ફ્યુલની અછત સર્જાઈ હતી. વિમાનમાં મુસાફરો હતા અને તેને ઈમરજન્સીની સ્થિતિમાં બેંગ્લુરુ મોકલવામાં આવ્યું હતું. ફ્લાઈટ રાત્રે 8:15 વાગ્યે બેંગ્લુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.
ત્યારબાદ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા, ફ્યુલ ભરાયું અને મુસાફરોને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું. બધી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ફ્લાઈટ રાત્રે 10:24 વાગ્યે ફરીથી ઉડાન ભરી અને ચેન્નાઈ એરપોર્ટ પર સામાન્ય રીતે લેન્ડિંગ કર્યું. આ દરમિયાન DGCA અને અન્ય સંબંધિત અધિકારીઓને બધી માહિતી આપવામાં આવી.
ગુરુવારે રાત્રે 8:11 વાગ્યે પાયલોટે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટને 'ફ્યુઅલ MAYDAY' સંદેશ મોકલ્યો જેથી વિમાનને પ્રાથમિકતા લેન્ડિંગ મળી શકે. રાત્રે 8:15 વાગ્યે ફ્લાઈટ KIA પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ.
છેલ્લા કેટલાક દિવસોથી સમસ્યાઓનો સામનો કરી રહી છે ઈન્ડિગોની ફ્લાઈટ
ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં છેલ્લા કેટલાક દિવસોથી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આવી જ ઘટના ઈન્ડિગોની બીજી ફ્લાઇટ સાથે બની હતી. ચેન્નાઈથી મદુરાઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટને ટેક-ઓફ કર્યાના લગભગ 30 મિનિટ પછી ટેકનિકલ ખામીને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર પાછી ફરવી પડી હતી. શુક્રવારે સવારે 7:55 વાગ્યે ચેન્નાઈ એરપોર્ટથી ફ્લાઈટે ઉડાન ભરી હતી અને તેમાં 60 થી વધુ મુસાફરો સવાર હતા.
ફ્લાઈટ દરમિયાન ટેકનિકલ ખામી જણાયા બાદ સલામતીને ધ્યાનમાં રાખીને પાઈલટે વિમાનને ચેન્નાઈ પાછું લાવવાનો નિર્ણય લીધો. વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું અને બધા મુસાફરો સુરક્ષિત છે. એરલાઈને મુસાફરોની સુવિધા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી જેથી તેમને તેમના ગંતવ્ય સ્થાન મદુરાઈ લઈ જઈ શકાય. એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગી છે.
ઈન્ડિગોના પ્રવક્તાએ માગી માફી
આ પહેલા 18 જૂનના રોજ ભુવનેશ્વરથી કોલકાતા જતી ફ્લાઈટ 6E 6101 રનવે પર ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે પક્ષી અથડાવાના કારણે ફ્લાઈટને ટેકઓફ કરતા પહેલા રોકવી પડી હતી. જ્યારે તે જ દિવસે, દિલ્હીથી રાયપુર જતી ફ્લાઈટ 6E 6313માં પણ સમસ્યા જોવા મળી હતી. જ્યાં લેન્ડિંગ પછી, ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટનો દરવાજો ખુલ્યો ન હતો. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માનક સુરક્ષા પ્રક્રિયા મુજબ સંપૂર્ણ તપાસ પછી દરવાજો ખોલવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માગીએ છીએ અને તેમની ધીરજની પ્રશંસા કરીએ છીએ.