જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત અભિયાન ચાલી રહ્યું છે . જોકે, આતંકવાદીઓ તેમની નાપાક હરકત કરવાનું ભુલ્યા નથી. આ દરમિયાન, રવિવારે (21 સપ્ટેમ્બર) કિશ્તવાડમાં વ્હાઈટ નાઈટ કોર્પ્સના સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું છે. મળતી માહિતી મુજબ ઓપરેશન હાલમાં ચાલુ છે અને ભારતીય સૈનિકો આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે.


જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી

ભારતીય સેનાના વ્હાઈટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે, "વ્હાઇટ નાઈટ કોર્પ્સના સતર્ક સૈનિકોએ આજે ​​બપોરે 1 વાગ્યે કિશ્તવાડના જનરલ વિસ્તારમાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો. આતંકવાદીઓ સામે ફાયરિંગ કર્યું છે. હાલમાં ઓપરેશન ચાલુ છે." જોકે, ગોળીબારમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પાકિસ્તાને યુદ્ધવિરામનો કર્યો ભંગ

ખીણમાં અશાંતિ ફેલાવવા માટે સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, ભારતીય સેના આતંકવાદીઓના નાપાક ઈરાદાઓને સતત નિષ્ફળ બનાવી રહી છે. શનિવારે (20 સપ્ટેમ્બર) જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને લીપા ખીણના હંદવારા અને કુપવાડામાં યુદ્ધવિરામ (CFV)નું ઉલ્લંઘન કર્યું હતું.

ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

શુક્રવારે રાત્રે 8 વાગ્યે કિશ્તવાડ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સેનાએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેનો સેનાના સૈનિકોએ જવાબ આપ્યો હતો. સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે આ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે કિશ્તવાડના જનરલ વિસ્તારમાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન, વ્હાઈટ નાઈટ કોર્પ્સના સતર્ક સૈનિકોએ રાત્રે 8 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો, જેના પછી ગોળીબાર થયો હતો.

  • Follow us on: