JDUએ વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગી સાથેના સંબંધો પૂર્ણ થયાની જાહેરાત કરી છે. પાર્ટીના ટોપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યાગીનો પાર્ટી સાથેનો કાર્યકાળ હવે સમાપ્ત થયો છે. તેમ છતાં, પાર્ટી સાથેના તેમના લાંબા અને ઐતિહાસિક જોડાણને ધ્યાનમાં રાખીને, હાલ તેમની સામે કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
કે.સી.ત્યાગીના નિવેદનો
તાજેતરના સમયગાળામાં કે.સી. ત્યાગીના કેટલાક નિવેદનો અને કાર્યોને લઈને પાર્ટીમાં અસંતોષ જોવા મળ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે તેમણે અનેક મુદ્દાઓ પર પાર્ટી લાઇનથી અલગ વલણ અપનાવ્યું હતું, જેના કારણે જેડીયુ નેતૃત્વ તેમની સાથે અસહમત બન્યું. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજનના નિવેદનથી પણ સ્પષ્ટ થયું કે કે.સી. ત્યાગી હવે જેડીયુ સાથે સત્તાવાર રીતે જોડાયેલા નથી અને તેમના નિવેદનોને વ્યક્તિગત ગણવા જોઈએ.
નીતિશ કુમારને ભારત રત્ન આપવાની માંગણી
કે.સી. ત્યાગીએ તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની માંગણી કરી હતી. તેમણે આ માટે PM મોદીને પત્ર પણ લખ્યો હતો. જોકે, જેડીયુએ આ માંગણીને પોતાનું સત્તાવાર વલણ માનવાનો ઇનકાર કર્યો અને સ્પષ્ટ કર્યું કે પાર્ટીનો આ સાથે કોઈ સંબંધ નથી.
ત્યાગીએ ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાન વિશેનું નિવેદન
આ સિવાય, ત્યાગીએ બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપવાની તરફેણમાં નિવેદન આપ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાઓના મુદ્દે ભારતમાં વ્યાપક અસંતોષ વચ્ચે આવું નિવેદન જેડીયુ નેતૃત્વને વાંધાજનક લાગ્યું. પાર્ટી સૂત્રોનું માનવું છે કે આવા આંતરરાષ્ટ્રીય અને સંવેદનશીલ મુદ્દાઓ પર બોલતા પહેલા પાર્ટી સાથે ચર્ચા જરૂરી હતી, જે કરવામાં આવી નહોતી.
રાષ્ટ્રીય મુદ્દાઓ પર પાર્ટીની સ્થિતિ અલગ
પાર્ટી નેતૃત્વનું કહેવું છે કે NDA ગઠબંધનમાં રહીને ત્યાગીના કેટલાક નિવેદનો સમાન નાગરિક સંહિતા, વિદેશ નીતિ અને અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર પાર્ટીની સ્થિતિથી અલગ હતા. આ કારણે તેમણે અગાઉ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું હતું. જેડીયુ વર્તુળોમાં આ ઘટનાને એક યુગના અંત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, પાર્ટી નેતૃત્વ સ્પષ્ટ કરે છે કે આ વિયોગ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને પરસ્પર સંમતિથી થયો છે. હવે કે.સી. ત્યાગી ભવિષ્યમાં JDUના કોઈપણ નિવેદન, નિર્ણય અથવા રાજકીય વલણ સાથે જોડાયેલા રહેશે નહીં, જ્યારે JDU પોતાનું ધ્યાન આગામી વ્યૂહરચના અને સંગઠન મજબૂત કરવા પર કેન્દ્રિત કરી રહી છે.
આ પણ વાંચો : UKમાં X પર પ્રતિબંધની તલવાર, ભારતમાં પણ ઉઠ્યા સવાલ