ધર્મ અને આધ્યાત્મિકતાના વૈશ્વિક કેન્દ્ર સમાન કાશી (વારાણસી) શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને તેની પવિત્ર ધાર્મિક ઓળખને અનુરૂપ રાખવા માટે વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં અત્યાર સુધી કાર્યરત માંસ, મટન અને માછલીની દુકાનોને હવે તબક્કાવાર રીતે શહેરની સરહદ (સીમા)ની બહાર ખસેડવામાં આવશે. શનિવારે મેયર અશોક કુમાર તિવારીની અધ્યક્ષતામાં મૈદાગીનના ટાઉન હોલ બિલ્ડીંગમાં મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા (ગૃહ)ની બેઠકમાં આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે.


6 મહિનામાં થશે સંપૂર્ણ અમલ,આ 5 વિસ્તારો કરાયા નક્કી

મેયર અશોક કુમાર તિવારીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત અને વિદેશથી કાશીની મુલાકાતે આવતા કરોડો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી ૬ મહિનામાં આ યોજનાનો સંપૂર્ણ અમલ કરી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર હિમાંશુ નાગપાલે ગૃહને માહિતી આપી હતી કે યોજનાના પ્રથમ તબક્કા માટે શહેરના બહારના વિસ્તારની નજીકના પાંચ મુખ્ય સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. આ પાંચ વિસ્તારો નીચે મુજબ છે

  •  રામનગર
  • સુજાબાદ
  • ગણેશપુર
  • અવલેશપુર
  •  શિવપુર
શ્રાવણ મહિનામાં વેપારીઓને નુકસાનમાંથી મળશે રાહત

આ બેઠક દરમિયાન કાઉન્સિલર ગુલશન અલીએ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનામાં શહેરની અંદર નોન-વેજની દુકાનો બંધ રાખવી પડે છે, જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા ગરીબ લોકોના જીવનનિર્વાહ પર ખૂબ જ માઠી અસર પડે છે. જો આ દુકાનો કાયમી ધોરણે શહેરની હદ બહાર શિફ્ટ કરી દેવામાં આવે, તો શ્રાવણ મહિનામાં પણ વેપારીઓનો ધંધો ચાલુ રહી શકશે અને તેમનું આર્થિક નુકસાન અટકશે. મ્યુનિસિપલ કમિશનરે આ વાતને હકારાત્મક ગણાવીને ટૂંક સમયમાં જ શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો - Indus Water Treaty News: સિંધુ જળ કરાર પર ભારતના કડક વલણથી પાકિસ્તાનમાં પાણીની ભારે કટોકટી


  • Follow us on: