આ વાત શુક્રવારની છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી અગરતલા જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં આ ઘટના બની હતી. તે વખતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. વીજળીઓના કડાકા ભડાકા થઇ રહ્યા હતા તે દરમિયાન કોલકાતાથી અગરતલા જતી ફ્લાઇટ ત્યાં ઉભી હતી. તે પ્લેન પર જ વીજળી પડી હતી. જો કે ઘટનાને પગલે તાત્કાલિક અસરથી મુસાફરોની પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.
કોલકાતા એરપોર્ટ પર બની વીજળી પડવાની ઘટના
સલામતી પ્રોટોકોલ અનુસાર, મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને જરૂરી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ સાવચેતીના પગલા તરીકે બે ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યોને તબીબી સહાય માટે લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો સૂચવે છે કે કોઈ ઈજાના અહેવાલ નથી. સમાચાર એજન્સી PTI અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે વાવાઝોડા દરમિયાન કોલકાતા એરપોર્ટ પર અગરતલા જતી ઇન્ડિગો ફ્લાઇટ પર વીજળી પડી હતી.
ક્યારે બની આ ઘટના ?
ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગાળમાં વરસાદી માહોલ છે. કોલકાતામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં કોઈ મુસાફરો ઘાયલ થયા નથી. ઇન્ડિગો ફ્લાઇટ 6E6068 (VT-IPW) એરોબ્રિજ 56L પર પાર્ક કરેલી હતી ત્યારે સવારે લગભગ 9:30 વાગ્યે વીજળી પડી.
કેટલા લોકો હતા પ્લેનમાં ?
વીજળી ત્રાટકવાથી વિમાનની પાવર સિસ્ટમ પર અસર પડી જેના કારણે અચાનક વીજળી ગુલ થઈ ગઈ. અધિકારીએ નોંધ્યું કે તે સમયે A320 વિમાનમાં 141 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.તે તમામને સાવચેતીના ભાગરૂપે વિમાનમાંથી ઉતારી દીધા હતા. તેઓને બાદમાં A321 વિમાન (VT-ICD) દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવ્યા.
ઇન્ડિગોએ શું કહ્યું ?
શરૂઆતમાં સવારે 9:20 વાગ્યે ઉપડવાનો સમય હતો, પરંતુ ફ્લાઇટ આખરે બપોરે 12:50 વાગ્યે મુસાફરો સાથે ઉડાન ભરી. ઇન્ડિગોના જણાવ્યા અનુસાર બે ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યોને થોડી અસર થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે તબીબી તપાસ બાદ તેમને તાત્કાલિક રજા આપવામાં આવી હતી. કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં શુક્રવાર સવારથી જ તોફાન અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક ખોરવાઈ ગયો હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?