ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇરાન દ્વારા કરવામાં આવેલા એક ભયાનક હુમલામાં એક ભારતીય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 63 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી સ્વીકારતા ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ જણાવ્યું છે કે, આ કાર્યવાહી અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો છે.


કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે તેઓ મૃતકના પરિવાર અને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કુવૈતના સત્તાધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-સનદે જણાવ્યું કે, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે 25 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ઘાયલોમાં ઘણાની સ્થિતિ ગંભીર છે, જેમને બ્રેઈન હેમરેજ, માથામાં ગંભીર ઈજા અને વિસ્ફોટને કારણે અંગો ગુમાવવાનો વારો આવ્યો છે. હુમલા બાદ કુવૈતે એરપોર્ટના ટર્મિનલ-1 પર થયેલા નુકસાનને જોતા તમામ એરપોર્ટ સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે.

IRGCએ કેમ કર્યો હુમલો?

ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે તેમના સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર જાહેરાત કરી કે અમેરિકાએ તાજેતરમાં ઇરાની ઓઇલ ટેન્કર અને એક ટાપુ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. IRGCએ કુવૈતમાં આવેલા અલી અલ સલેમ એરબેઝ અને બહેરીનમાં સ્થિત અમેરિકી ફિફ્થ ફ્લીટના હેડક્વાર્ટરને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યા હતા.

વિશ્વભરમાં વિરોધની લહેર

આ કાયરતાપૂર્ણ હુમલાની ખાડી દેશો સહિત ભારતે પણ આકરી નિંદા કરી છે. UAEના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગર્ગશે જણાવ્યું કે, ઇરાનની આ આક્રમકતા સામે તમામ ખાડી દેશોએ એક થવાની જરૂર છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ હુમલાને વખોડી કાઢીને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.



આ પણ વાંચો:Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત


  • Follow us on: