લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની મુખ્ય માંગણીઓ માટે આંદોલન ચલાવતા સંગઠન લેહ એપેક્સ બોડી (LAB) એ મોટો નિર્ણય લીધો છે. LAB એ 6 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે યોજાનારી વાતચીતનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
લદ્દાખમાં પૂર્ણ દરજ્જાના લઇને થયા હતા હિંસક પ્રદર્શન
નોંધનીય છે કે LAB ના આક્રોશનું મુખ્ય કારણ 24 સપ્ટેમ્બરના પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોના ગોળીબારમાં ચાર યુવકોના મૃત્યુ અને 90થી વધુ લોકોના ઘાયલ થવાની ઘટના બની હતી. LAB એ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. LAB ના સહ-અધ્યક્ષ, ચેરીંગ ડોરજેએ જણાવ્યું હતું કે, "CRPF એ કોઈ ચેતવણી વિના સીધી ગોળીબારી કરી, જે ગેરકાયદેસર છે. અમે ન્યાયિક તપાસ ઇચ્છીએ છીએ કે ગોળીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો.
LAB એ સરકાર સાથે બેઠકનો કર્યો બહિષ્કાર
ઉલ્લેખનીય છે કે લેહ એપેક્સ બોડીએ કેન્દ્ર સરકાર પર પ્રદર્શનકારીઓને 'રાષ્ટ્ર-વિરોધી' અને 'પાકિસ્તાનના હાથોનું રમકડું' જેવા અપમાનજનક શબ્દોથી સંબોધવાનો ગંભીર આરોપ મૂક્યો છે, અને તાત્કાલિક લદ્દાખના લોકોની માફી માંગવા જણાવ્યું છે.આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા LAB અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA), બંનેએ લદ્દાખના વર્તમાન પ્રશાસન પર વિરોધ પ્રદર્શનોને યોગ્ય રીતે ન સંભાળવાનો આરોપ લગાવ્યો છે. KDA નેતા સજ્જાદ કારગિલીએ પણ આ ઘટનાની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે.
LAB અને KDA એ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યો
નોંધનીય છે કે જ્યારે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ અને આંદોલનના મુખ્ય ચહેરા સોનમ વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા અને તેમને જોધપુર જેલ મોકલી દેવાયા. જોકે, તેમના સમર્થકો માને છે કે તેમની ધરપકડથી લદ્દાખનો સંઘર્ષ હવે દેશવ્યાપી બની ગયો છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાએ હિંસા પાછળ 'વિદેશી હાથ'નો સંકેત આપ્યો હતો, પરંતુ LAB અને KDA એ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.












