મધ્યપ્રદેશના મુરૈનામાં એક ભયંકર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં આગની અફવાએ ચાર લોકોના જીવ લઈ લીધા છે. મળતી માહિતી મુજબ ઉદયપુર ઈન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગ્યાની અફવા ફેલાતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અનેક મુસાફરો પોતાના જીવ બચાવવા માટે ચાલતી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર કૂદી પડ્યા હતા.


ટ્રેક પર કૂદેલા મુસાફરો ટ્રેનની ચપેટમાં આવી ગયા

આ જ સમયે સામેના ટ્રેક પર પાતાલકોટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 20424) પસાર થઈ રહી હતી. ટ્રેક પર કૂદેલા મુસાફરો આ ટ્રેનની ચપેટમાં આવી ગયા, જેના કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ આફરીન (35), અશદ (4), શકુંતલા (60) અને વીરમા દેવી (58) તરીકે થઈ છે.

સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી

ઘટનાની જાણ થતાં જ રેલવે અને પોલીસ પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સરાય છોલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે માહિતી મળતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને મૃતદેહોને કબજામાં લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા પણ અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Madhya Pradesh : કટનીમાં મોટો માર્ગ અકસ્માત, બેકાબૂ બનેલી બસ રસ્તા પર પલટી, 3 લોકોના થયા મોત


  • Follow us on: