સ્કુલ..જેને શિક્ષણનું મંદિર માનવામાં આવે છે. આ સ્કુલની ચાર દિવાલોની વચ્ચે જ આ બાળકીઓની લાચારીને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના શાહપુરમાં આવેલી એક પ્રાઈવેટ શાળામાં બાળકીઓ પિરિયડ્સમાં છે કે નહીં તે જાણવા માટે તેમની સાથે અમાનવીય વ્યવ્હાર કરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 6 થી 10ની લગભગ 125 બાળકીઓને કપડા ઉતારવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ અમાનવીય કૃત્યની બાળકીઓના માનસ પર જ અસર થઈ નથી પરંતું સમગ્ર લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. લોકો શાળા પ્રશાસન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે આર.એસ.દમાણી સ્કૂલમાં 6 થી 10 ધોરણની વિદ્યાર્થીઓના કપડા ઉતારવામાં આવ્યા. આ ઘટના બાદ સ્કૂલના આચાર્ય, ચાર શિક્ષિકાઓ અને એક મહિલા કર્મચારીઓ સહિત બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના શુક્રવારે બની હતી જ્યારે શાળાના ટોયલેટમાં લોહીના નિશાન જોવા મળ્યા, પોલીસના જણાવ્યા પ્રમાણે લોહીના નિશાન મળ્યા બાદ શાળા પ્રશાસને તમામ વિદ્યાર્થીનીઓને શાળાના હોલમાં બોલાવી અને પ્રોજેક્ટરની મદદથી તેમને ટોયલેટની દિવાલો બતાવી હતી. ત્યાર બાદ તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ પિરિયડ્સના સમયમાંથી પસાર થઈ રહી છે? મળતી માહિતી પ્રમાણે આ પછી તેમને બે ભાગમાં વહેંચવામાં આવી. એક ભાગમાં તે વિદ્યાર્થીનીઓ હતી જેમણે પિરિયડ્સમાં હોવાનું કબૂલ્યુ હતુ અને બીજા ભાગમાં તે હતી જેમણે આ વાત નકારી હતી.
શાળાની બહાર વિરોધ પ્રદર્શન
ચોંકાવનારી વાત તો એ છે કે જે વિદ્યાર્થીનીઓએ એવું કહ્યું હતું કે તેઓ પિરિયડ્સમાં નથી તેમને એક એક કરીને ટોયલેટમાં લઈ જવામાં આવી જ્યાં એક મહિલા કર્મચારીએ તેમના ગુપ્તાંગ તપાસ્યા. તેનાથી છાત્રાઓના માનસ પર જ અસર નથી પડી પણ વાલીઓમાં પણ આક્રોશ ફેલાયો છે. બુધવારે વાલીઓએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓ પર સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોલીસ અધિકારી રાહુલ જાલ્ટેએ જણાવ્યું હતું કે આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ઝડપથી આ ઘટનાની તપાસ કરી રહી છે. આઠ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાહપુર પોલિસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી મુકેશ ધાગેએ જણાવ્યું હતું કે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતું આ ઘટનાની તપાસ ચાલુ છે.