મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ દશકો બાદ ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ - રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે - એક જ સ્ટેજ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ ત્રણ ભાષાના ફોર્મ્યુલાને પાછો ખેંચવાના સરકારના નિર્ણયને મરાઠી ઓળખનો વિજય ગણાવ્યો અને આ નિર્ણય પાછળ મરાઠી એકતાને શ્રેય આપ્યો.
રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ પછી, હું અને ઉદ્ધવ એક સાથે આવ્યા છીએ. બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું. અમને બંને (રાજ અને ઉદ્ધવ) ને એકસાથે લાવવાનું કામ.
રાજ ઠાકરેના નિવેદનથી આખા પંડાલમાં તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. કોઈનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ ક્યારેય સફળ થશે નહીં. જો કોઈ મુંબઈ પર હાથ ઉઠાવવાની હિંમત કરશે તો તે મરાઠી માનુષની સાચી શક્તિ જોશે.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાજ ઠાકરેએ પૂછ્યું કે હિંદી પર અચાનક આટલો ભાર કેમ આપવામાં આવી રહ્યો છે? આ ભાષા પ્રત્યેનો પ્રેમ નથી, પણ એક એજન્ડા છે. આપણા પર હિન્દી લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ સહન કરીશું નહીં. પરંતુ જ્યારે બીજેપી નેતાઓએ મિશનરી સ્કૂલોમાં ભણ્યા, ત્યારે તેમના હિંદુત્વ પર કોઇએ આંગળી ન ચિંધી. આ દંભ નહીં ચાલે.