મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના થઇ. જેમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા 6 લોકોના મોત થયા છે. તેઓ રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની.
કાર્તિક પૂર્ણિમાએ બની દુઃખદ ઘટના
મળતી માહિતી મુજબ આજે કારતક પૂર્ણિમા હોવાથી ગંગા સ્નાન કરવા યાત્રીઓ જઇ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ખોટી દિશામાં ઉતરવાને કારણે તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા. તેઓએ ટ્રેનથી ઉતરવા સમયે ધ્યાન ન રાખ્યું અને ટ્રેક પર આવી ગયા અને ટ્રેનની અડફેટે તેઓના મોત થઇ ગયા.
ઘટનાને પગલે રેલવે પ્રશાસન અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. હાલ સ્ટેશન પર ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવાયા છે. દુર્ઘટનાની તપાસ થઇ રહી છે.
ટક્કર જબરદસ્ત હતી
સ્થળ પર હાજર લોકોનું કહેવુ છે કે ટક્કર એટલી જબરદસ્ત હતી કે ચિથરે ચિથરા ઉડી ગયા. ઘટનાને બાદ તો ચીસા ચીસ થઇ ગઇ. તમામ શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા જઇ રહ્યા હતા. આ ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઇ. સ્થળ પર હાજર અધિકારીઓએ રાહત બચાવની કામગીરી શરૂ કરી. પ્રશાસને યાત્રીઓને અપીલ કરી છે કે સુરક્ષા માટે પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો જ ઉપયોગ કરે.
સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ
GRP અને RPF ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચુનાર રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ અને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.













